માલદિવ્સે પ્રતિબંધ મૂકતાં ઈઝરાયલે ભારતીય ટાપુઓના વખાણ કર્યાં, ઈઝરાયલીઓને તેની મુલાકાત લેવાં આહ્વાન કર્યું

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
માલદિવ્સે પ્રતિબંધ મૂકતાં ઈઝરાયલે ભારતીય ટાપુઓના વખાણ કર્યાં, ઈઝરાયલીઓને તેની મુલાકાત લેવાં  આહ્વાન કર્યું 1 - image


Israel-Maldives Controversy: હિંદ મહાસાગરમાં ભારતના પડોશી ટાપુ દેશ માલદીવ્સ દ્વારા એક દિવસ પહેલા ઈઝરાયલના પાસપોર્ટ ધારકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાતા ઈઝરાયલ નારાજ થઈ ગયું છે અને તેણે પોતાના નાગરિકોને માલદીવ્સનો બહિષ્કાર કરવા અને હિંદ મહાસાગરમાં તેના જેવા ભારતીય ટાપુઓની મુલાકાત લેવાની સલાહ આપી છે, જેમાં જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ મુલાકાત લઈ ચૂક્યા હતા, તેવા લક્ષદ્વીપ ટાપુની મુલાકાત લેવા આહ્વાન કર્યું છે. ભારતમાં ઇઝરાયલી દૂતાવાસે હિન્દી અને અંગ્રેજીમાં ટ્વીટ કરીને લોકોને કહ્યું છે કે ઘણા ભારતીય બીચ છે જે ખૂબ જ સુંદર છે અને ત્યાં મહેમાનોનો ખૂબ આદર-સત્કાર કરવામાં આવે છે.

દૂતાવાસના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરવામાં આવ્યું છે કે, "માલદીવ્સે હવે ઇઝરાયલીઓ પર પ્રતિબંધ મૂક્યો છે, નીચે કેટલાક સુંદર અને અદ્ભુત ભારતીય દરિયાકિનારા છે જ્યાં ઇઝરાયલી પ્રવાસીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે અને ખૂબ આદર-સત્કાર પણ થાય છે." આ સાથે ભારતના ચાર સુંદર બીચની તસવીરો પણ શેર કરવામાં આવી છે. જે દરિયાકિનારાના ફોટા શેર કરવામાં આવ્યા છે તેમાં લક્ષદ્વીપ, ગોવા, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને કેરળનો તટ સામેલ છે.

માલદીવ્સે પ્રતિબંધ લાદ્યો

માલદીવ્સ સરકારે રવિવારે હિંદ ઇઝરાયલના પાસપોર્ટ ધારકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે કાયદામાં સુધારો કરવાનો નિર્ણય લીધો હતો. ગાઝા પર ઈઝરાયલી સેના દ્વારા કરવામાં આવેલા હુમલાને લઈને માલદીવ્સના લોકોમાં વધી રહેલા ગુસ્સા વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની જાહેરાત ગૃહમંત્રી અલી ઇહુસને રાષ્ટ્રપતિ કાર્યાલય ખાતે એક ઇમરજન્સી પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. કેબિનેટે આજે ઇઝરાયલી પાસપોર્ટ પર માલદીવ્સમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે જરૂરી કાયદાકીય સુધારા કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે "કેબિનેટે આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે મંત્રીઓના એક વિશેષ જૂથની રચના કરી છે."

દરવર્ષે 10 લાખથી વધુ પ્રવાસીઓ

દર વર્ષે 10 લાખથી વધુ પ્રવાસીઓ માલદીવ્સની મુલાકાત લે છે. જેમાં ઇઝરાયલના લગભગ 15,000 પ્રવાસીઓનો સમાવેશ થાય છે. કેબિનેટે પેલેસ્ટાઈનને માલદીવ્સની મદદની જરૂર હોય તેવા ક્ષેત્રોને ઓળખવા માટે વિશેષ દૂતની નિમણૂક કરવાનો પણ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વીપની મુલાકાતે ગયા હતા ત્યારે માલદીવ્સે તેની સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. માલદીવ્સ યુવા બાબતોના મંત્રાલયના ત્રણ નાયબ પ્રધાનોએ વડાપ્રધાન મોદી પર નકારાત્મક ટિપ્પણી કરી હતી, જેમાં પીએમ મોદીની લક્ષદ્વીપની મુલાકાતને માલદીવના પ્રવાસન માટે ખતરો ગણાવી હતી. માલદીવ્સ આ વલણથી માત્ર બંને દેશોના સંબંધોમાં તિરાડ પડી નથી પરંતુ ભારતીયોએ પણ માલદીવ્સ બહિષ્કાર કરવાની ઝુંબેશ શરૂ કરી છે અને ત્યાં જતા પ્રવાસીઓએ તેમની યાત્રાઓ રદ કરી છે. જેના કારણે માલદીવ્સને ભારે આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે ચીનને માલદીવ્સમાં પ્રવાસીઓને મોકલવા વિનંતી કરવી પડી હતી.


Google NewsGoogle News