સિંગાપોરની સંસદમાં જૂઠ્ઠું બોલવાના કારણે ભારતીય મૂળના સાંસદને લાખોનો દંડ, ભારતમાં શું છે નિયમ?
Indian-origin MP fined for lying in Singapore's Parliament : સિંગાપોરમાં ભારતીય મૂળના વિપક્ષી નેતા પ્રીતમ સિંહને સંસદીય સમિતિ સમક્ષ શપથ લઈને ખોટું બોલવાના બે આરોપોમાં કોર્ટે દોષી ઠેરવ્યા છે. આ માટે તેમને 14000 સિંગાપોર ડૉલર એટલે કે લગભગ 9 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સિંગાપોરમાં કાયદા ખૂબ જ કડક છે. પણ જો ભારતીય સંસદમાં કોઈ સાંસદ ખોટું બોલે તો શું થશે? શું તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે જેથી માત્ર તેઓ જ નહીં પરંતુ અન્ય સાંસદો પણ તેને યાદ રાખે?
શું હતો સમગ્ર મામલો?
જો કે પ્રીતમ સિંહ જેલ જતા અને વધુ દંડ ભરવામાંથી બચી ગયા હતા. સિંગાપોરના બંધારણ અનુસાર જો કોઈ વર્તમાન સાંસદ સંસદમાં ખોટું બોલે છે તો તેને ઓછામાં ઓછી એક વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા 10000 સિંગાપોર ડૉલરનો દંડ ફટકારવામાં આવે તો તેને પોતાની બેઠક ગુમાવી પડે છે. તે ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય ઠેરવવામાં આવે છે. જો કે પ્રીતમ સિંહ આ કઠોર સજામાંથી બચી ગયા હતા.
જો કે ચૂંટણી વિભાગે સોમવારે જણાવ્યું હતું કે પ્રીતમ સિંહને ફટકારવામાં આવેલી સજા તેમને સાંસદ તરીકે અયોગ્ય ઠેરવવા માટે પૂરતી નથી. વિભાગે જણાવ્યું હતું કે અયોગ્યતા એક જ અપરાધ માટે આપવામાં આવેલી સજા પર આધારિત છે. વર્કર્સ પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ રઇસ ખાનના આચરણની તપાસ કરતી સંસદીય સમિતિ સમક્ષ ખોટી જુબાની આપવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ચાર મહિના પહેલા આ મામલે ટ્રાયલ શરુ થયું હતું.
સંસદમાં જૂઠ્ઠું બોલવા અંગે દુનિયાભરમાં અલગ નિયમો
દુનિયાભરની સંસદોમાં જૂઠ્ઠું બોલવા માટે અલગ-અલગ નિયમો છે. સામાન્ય રીતે દરેક દેશની સંસદ તેને ગંભીર બાબત માને છે. જો કે, ભારત સહિત ઘણાં દેશોમાં સંસદ સભ્યોને 'સંસદીય વિશેષાધિકાર' હેઠળ કેટલીક સ્વતંત્રતા આપવામાં આવી છે. જેના દ્વારા તેઓ સંસદમાં નિવેદનો આપતી વખતે કાનૂની કાર્યવાહીથી બચી શકે છે. જો કે, આ વિશેષાધિકાર જૂઠું બોલવા કે અન્ય ખોટા કાર્યો માટે નથી.
ભારતમાં શું કાર્યવાહી થઈ શકે?
ભારતમાં જો કોઈ સાંસદ ઇરાદાપૂર્વક જૂઠ્ઠું બોલે છે અને એ સાબિત થાય છે તો તે સાંસદને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. જો મામલો ગંભીર હોય તો તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. જો કે, ભારતના 74 વર્ષના સંસદીય ઇતિહાસમાં અત્યાર સુધીમાં આવો કોઈપણ મામલો સામે આવ્યો નથી અને સાબિત પણ થયો નથી. સજા પણ આપવામાં આવી નથી.
શું છે ભારતમાં આ અંગેની પ્રક્રિયા?
જો કોઈ સાંસદ પર આવો કોઈ આરોપ લાગે છે તેઓ સંસદમાં જુઠ્ઠું બોલ્યા હતા તો આ મુદ્દાને પહેલા સંસદની અંદર કે બહાર સાર્વજનિક રીતે ઉઠવવામાં આવે છે. કોઈ પણ સાંસદ પર આરોપ ત્યારે જ નાખવામાં આવી શકે છે જ્યારે સ્પષ્ટપણે જણાઈ રહ્યું હોય કે તેણે સંસદમાં ખોટી જાણકારી આપી છે.
ભારતમાં સાંસદોને 'સંસદીય વિશેષાધિકાર' પ્રાપ્ત
ભારતીય સંસદમાં સાંસદોને 'સંસદીય વિશેષાધિકાર' (Parliamentary Privilege) પ્રાપ્ત હોય છે. આ વિશેષાધિકારને લીધે તેઓ સંસદમાં જે કંઈપણ નિવેદન આપે છે તેને લઈને તેમને કાયદાકીય સુરક્ષા મળે છે. પરંતુ જો એ સાબિત થાય કે સાંસદે વિશેષાધિકારનો દુરુપયોગ કર્યો છે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. જો કોઈ સાંસદ ઇરાદાપૂર્વક જૂઠ્ઠું બોલ્યા હોય તો તેને વિશેષાધિકારનું ઉલ્લંઘન માનવામાં આવી શકે છે. અને જો આરોપો ગંભીર હોય તો મામલોને સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવી શકે છે. આ સમિતિ આરોપોની તપાસ કરે છે અને તેઓ નિર્ણય લે છે કે આ આરોપ સાચા છે કે ખોટા, સમિતિ તપાસ કરીને રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવે છે.
તો સાંસદની સદસ્યતા પણ સમાપ્ત થઈ શકે
જો તપાસમાં ખબર પડે છે કે સાંસદ જૂઠ્ઠું બોલ્યા છે તો સંસદના અધ્યક્ષ (લોકસભા) કે રાજ્યસભાના સભાપતિ આ મામલાની ગંભીરતાના આધારે કાર્યવાહી કરે છે. કાર્યવાહીમાં સાંસદને સસ્પેન્ડ કે સંસદીય વિશેષાધિકારના ઉલ્લંઘન માટે તેમની પાસેથી સ્પષ્ટીકરણ માંગી તેમને માફી માંગવાનું કહેવામાં આવી શકે છે. જો મામલો ગંભીર હોય તો સાંસદની સદસ્યતા પણ સમાપ્ત કરવામાં આવી શકે છે. જેના માટે સંસદમાં વોટીંગ કરાવવામાં આવે છે. જેમાં સભ્યોની બહુમતી દ્વારા નિર્ણય લેવામાં આવે છે. સામાન્ય રીતે આવું ત્યારે જ કરવામાં આવે છે કે જ્યારે મામલો સંપૂર્ણ સાબિત થઈ જાય.