ઇઝરાયેલ- હમાસ યુદ્ધમાં ભારત કોની સાથે ? યુનોની સલામતી સમિતિમાં ભારતના કથનથી સ્પષ્ટતા થાય છે
- ભારત એક તરફ ઇઝરાયેલનું મિત્ર છે, તો બીજી તરફ ગાઝા પટ્ટીમાં સામાન્ય નાગરિકોના મૃત્યુ અંગે પણ સચિંત છે
યુનો : યુનોની સલામતી સમિતિમાં ભારતે ઇઝરાયલ હમાસ યુદ્ધ અંગે મહત્ત્વનું કથન કર્યું છે. ભારતમાં આ વિધાનોનું મહત્ત્વ એટલા માટે છે કે એક તરફ ભારત ઇઝરાયલનું મિત્ર છે તો બીજી તરફ ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી હુમલામાં સામાન્ય નાગરિકોના પણ મૃત્યુ થયા છે તેમ આજે યુનોમાંના ભારતના ડેપ્યુટી પરમેનન્ટ રેપ્રિઝન્ટેટીવ આર. રવીન્દ્રે બુધવારે તે પરિષદમાં જણાવ્યું હતું કે, 'ભારત ઇઝરાયલ હમાસ યુદ્ધમાં બગડતી જતી પરિસ્થિતિ અને સામાન્ય નાગરિકોના થતા મૃત્યુ અંગે ચિંતિત છે. આમ એક તરફ ભારતે ઇઝરાયેલ પ્રત્યેની તેની મિત્રતા દર્શાવી છે તો બીજી તરફ ગાઝામાં થતા નિર્દોષોના મૃત્યુ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. સાથે ૭ ઓક્ટોબરે ઇઝરાયલ ઉપર થયેલા આતંકી હુમલા માટે હમાસની પણ ટીકા કરી છે.'
આ પૂર્વે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેને આતંકવાદને મદદ કરનારા દરેક દેશની નિંદા કરી છે તેમણે કહ્યું: 'આ આતંકવાદના તમામ કૃત્યો ગેરકાયદે અને અયોગ્ય છે પછી ભલે તે નાઇરોબીમાં થતા હોય કે બાલીમાં કે મુંબઈમાં, ન્યુયોર્કમાં કે કુબુત્ઝ બેટીમાં નિશાન બનાવતા હોય તે બધાં જ ગેરકાયદે છે અને અયોગ્ય છે તે ભલે બોકો હરામ, આઇએસઆઇએસકે, લશ્કર-એ-તૈયબા દ્વારા કે હમાસ દ્વારા કરવામાં આવ્યા હોય.'
આવા બધાને તાલીમ આપનાર, શસ્ત્રો આપનાર અને ધન આપનાર પણ તેટલા જ ટીકાપાત્ર છે.
જ્યારે પેલેસ્ટાઇનના વિદેશ મંત્રી રિયાદ અલ મિકિક્રીએ કહ્યું: આજે જ્યારે આપણે આ અંગે ચર્ચા કરીએ છીએ અને જુદા જુદા દેશોના પ્રતિનિધિઓ ભાષણ આપે છે ત્યાં (ગાઝા પટ્ટીમાં) ૬૦ બાળકો સહિત ૧૫૦ લોકો માર્યા ગયા હશે. છેલ્લા બે સપ્તાહમાં ૫,૭૦૦થી વધુ પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા છે જેમાં ૨,૩૦૦થી વધુ બાળકો અને ૧૩૦૦ મહિલાઓ પણ સામેલ છે પરંતુ તે ભુલશો નહીં કે વધુ હત્યાઓ કરવાથી કૈં ઇઝરાયેલ સુરક્ષિત નહિ થઈ શકે.