ભારતને રેસિપ્રોકલ ટેરિફમાં રાહત આપશે અમેરિકા? વેપાર સમજૂતી માટે દિલ્હી આવી રહ્યા છે અધિકારીઓ
America Reciprocal Tariff: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ (ટિટ ફોર ટેટ) લગાવવાનું એલાન કરી ચૂક્યા છે. આ પાછળ ટ્રમ્પનો ઈરાદો એવા દેશોની પ્રોડક્ટ પર ટેરિફ લગાવવાનો છે જેઓ અમેરિકન પ્રોડક્ટ પર ભારે ટેરિફ લગાવે છે. આ વચ્ચે હવે ભારત સરકાર અમેરિકા દ્વારા લગાવવામાં આવી રહેલા રેસિપ્રોકલક ટેરિફમાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ કરશે. આ મામલે ચર્ચા કરવા માટે અમેરિકન અધિકારીઓનું એક ગ્રુપ આજે ભારત આવી રહ્યું છે. આ વાતચીતનો હેતુ દ્વિપક્ષીય વેપાર કરાર (bilateral trade agreement) પર વાટાઘાટો કરવાનો છે.
25થી 29 માર્ચ સુધી ભારતના પ્રવાસ પર રહેશે અમેરિકન અધિકારીઓ
અમેરિકાથી ભારત આવી રહેલા ગ્રુપમાં અમેરિકાના દક્ષિણ અને મધ્ય એશિયા બાબતોના સહાયક વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિંચ અને તેમની સાથે અમેરિકન અધિકારીઓની ટીમ 25 થી 29 માર્ચ સુધી ભારતના પ્રવાસે રહેશે. અમેરિકન દૂતાવાસ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી. ભારત સરકાર આ દરમિયાન અમેરિકન અધિકારીઓ સમક્ષ એ રજૂઆત કરશે કે ભારતને અમેરિકા દ્વારા લાદવામાં આવતા રેસિપ્રોકલ ટેરિફમાંથી રાહત આપવામાં આવે. આ ટેરિફ 2 એપ્રિલથી લાગુ થવા જઈ રહ્યો છે.
આ પણ વાંચો: BIG NEWS: અમેરિકાના 'વૉર પ્લાન'ની માહિતી લીક! NSAએ ગ્રૂપમાં ભૂલથી પત્રકારને જોડી દીધા
દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સબંધોને મજબૂતી મળશે
એક અહેવાલ પ્રમાણે વાતચીત દરમિયાન બંને દેશો વચ્ચે એક બાયલિટરલ ટ્રેડ ડીલની રૂપરેખા પર ચર્ચા થશે. ત્યારબાદ આ કરાર પર ઔપચારિક વાટાઘાટો શરૂ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બ્રેન્ડન લિંચ ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે પણ મુલાકાત કરી શકે છે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે, 'અમે અમેરિકન પ્રતિનિધિમંડળ સાથે વધુ સારી ચર્ચાની આશા રાખીએ છીએ અને તેનાથી કંઈક હાંસલ થશે. આનાથી આપણા દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધો વધુ મજબૂત થઈ શકે છે.'
ભારતની ઈમ્પોર્ટ પોલિસી અમેરિકન બિઝનેસ માટે ખોટી
અમેરિકાના મતે ભારત એવા દેશોમાંનો એક છે જેનો સરેરાશ ટેરિફ દર (average tariff rate) વિશ્વમાં સૌથી વધુ છે. આ જ કારણ છે કે અમેરિકાની નજર ભારત પર વધુ ટેરિફ લાદવા પર રહી છે. ટ્રમ્પ પહેલા પણ અનેક વખત ભારતની ઈમ્પોર્ટ પોલિસીને અમેરિકન બિઝનેસ માટે ખોટી ગણાવી ચૂક્યા છે. તાજેતરમાં તેમણે કહ્યું હતું કે, દેશને રેસિપ્રોકલક ટેરિફમાંથી મુક્તિ નહીં મળશે.