ભારત-કેનેડાના સંબંધમાં ખટાશ શું લાખો વિદ્યાર્થી-NRIને કરશે અસર, જાણો કેનેડામાં ભારતીયોની વસ્તી કેટલી?
ભારત અને કેનેડા વચ્ચે સ્થિતિ એટલી વણસી ગઈ છે કે હવે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે હાલ સ્થગિત કરવામાં આવી છે
ભારત-કેનેડા વચ્ચે ઉભા થયેલો ગજગ્રાહ નવી ચરમસીમાએ પહોંચ્યો છે. ખાલિસ્તાની નેતાની હત્યાનો આરોપ ભારત સરકાર પર લગાવ્યા બાદ કેનેડા સાથેના ભારતના સંબંધો વણસી રહ્યાં છે. આ પહેલા ભારતે કેનેડામાં રહેલા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરી હતી. ભારત-કેનેડા વચ્ચે વધતા વિવાદ બાદ ભારતે ઘણા મોટા નિર્ણય લીધા છે, જે હાલ પૂરી દુનિયા સામે છે. હાલ ભારત-કેનેડા વચ્ચે વિવાદની સ્થિતિ છે, પરંતુ ભારતના નાગરિકોનો એક મોટો વર્ગ કેનેડામાં વસે છે.
ભારતના ઘણા સ્ટુડન્ટ, વર્કર, NRI લાખોની સંખ્યામાં કેનેડામાં રહે છે. તો ભારત અને કેનેડા વચ્ચેના વિવાદમાં આજ આપણે જાણીશું કે ભારતના આખરે કેટલા લોકો કેનેડામાં હાલ રહે છે અને આ આંકડાઓ દર્શાવે છે કે હાલ આ સંખ્યા કેટલી વધુ છે.
ભારતના કેટલા લોકો વિદેશમાં વસે છે?
સરકારી ડેટા અનુસાર ભારતના 13 મિલિયન ભારતીય વિદેશમાં રહે છે. જેમાં વર્કર, પ્રોફેશનલ, એક્સપર્ટ વગેરેનો સમાવેશ થાય છે. ભારતના કુલ 1,36,01,239 લોકો વિદેશમાં રહે છે. જેમાં સૌથી વધુ UAE, સાઉદી અરબ, કુવૈત, કતાર અને ઓમાનમાં લોકો રહે છે.
કેનેડામાં કેટલા ભારતીય ?
હાલમાં જ લોકસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે ઓગસ્ટ સુધી ભારતના 1,78,410 લોકો કેનેડામાં રહે છે. જેમાં વર્કરનો પણ સમાવેશ થાય છે. મંત્રાલયના એક રીપોર્ટ મુજબ NRI ભારતીયોની સંખ્યા 1,78,410 છે, જયારે PIO (ભારતીય મૂળના નાગરિક)ની સંખ્યા 15,10,645 છે. તેમજ ઓવરસીઝ ઇન્ડિયનનો ડેટા 16,89,055 છે.
સ્ટુડન્ટની વાત કરીએ તો જયારે યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલતું હતું, ત્યારે મંત્રાલય તરફથી મળતા ડેટા મુજબ 2022માં કેનેડામાં 1,83,310 ભારતીય સ્ટુડન્ટ ભણતા હતા. જયારે કેનેડાની 2021 ની વસ્તી ગણતરી પ્રમાણે, કેનેડામાં 2.1 ટકા શીખ કેનેડાના નાગરિક છે અને તેમાં કેટલાક NRI અને POI છે.
ક્યાં રાજ્યના લોકો વિદેશમાં વધુ વસે છે?
વિદેશ મંત્રાલય અનુસાર 2020થી જૂન 2023 સુધી ઉતરપ્રદેશ ના 2,58,015 વર્કર વિદેશ ગયા હતા . ત્યારબાદ બિહારનું સ્થાન આવે, ત્યાંથી 1,31,725 વર્કર વિદેશ ગયા હતા. તેમજ આ જ સમયગાળામાં પશ્ચિમ બંગાળના 64,844 વર્કર વિદેશ ગયા હતા.