ભારતમાં છેલ્લા ૧૪ વર્ષમાં વીજ કરંટ લાગવાથી ૮૯૮ હાથીઓના મુત્યુ થયા. આરટીઆઇમાં ખુલાસો
ભારતમાં હાથીઓની કુલ સંખ્યા ૨૯૯૬૪ જેટલી છે.
ટ્રેનમાં કપાવાથી ૨૨૮ અને શિકારીઓ દ્વારા ૧૯૧ હાથીઓ મરાયા
નવી દિલ્હી,૨૧ સપ્ટેમ્બર,૨૦૨૩,ગુરુવાર
દેશમાં હાથીઓની ઘટતી જતી સંખ્યા અંગે એક આરટીઆઇ હેઠળ ખુલાસો થયો છે. છેલ્લા ૧૪ વર્ષમાં દેશમાં ૧૩૫૭ હાથીઓના મુત્યુ થયા છે.જેમાંથી ૮૯૮ કરંટ લાગવાથી અને ટ્રેનમાં કપાવાથી ૨૨૮ અને શિકારીઓ દ્વારા ૧૯૧ હાથીઓને મારવામાં આવ્યા છે જયારે ૪૦ હાથીઓને ઝેર ખવડાવીને મારવાની ઘટના પણ બની છે.
ખેડૂતો હાથી જેવા પ્રાણીઓથી ખેતી પાકને બચાવવા માટે પાક સંરક્ષણના ભાગરુપે વીજળીના લાઇવ તારવાડી વાડ ખેતર ફરતે બાંધે છે જેની સાથે હાથીઓ ટકરાઇને મોતને ભેટે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરાખંડના હલદ્વાનીના એક આરટીિઆ એકિટવિસ્ટે કેન્દ્રીય લોક સૂચના અધિકારી અને પ્રધાનમંત્રી કાર્યાલય પાસેથી માહિતી માંગી હતી.
પ્રોજેકટ હાથીના વૈજ્ઞાાનિક ડૉ મુથામિજ સેલવન તરફથી જે જવાબ આવ્યો તેમાં સૌથી વધુ હાથીઓના અકુદરતી મોત કરંટ લાગવાથી થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં હાથીઓની અંદાજીત સંખ્યાની વાત કરીએ તો નોર્થ ઇસ્ટના અરુણાચલ પ્રદેશ, અસમ,મેઘાલય, ત્રિપુરા,નાગાલેંડ,વેસ્ટ બંગાળ,મિઝોરમ અઇને મણીપુરમાં કુલ ૧૦૧૩૯ જેટલા હાથી છે.
ભારતમાં હાથીઓની કુલ સંખ્યા ૨૯૯૬૪ જેટલી છે. નિષ્ણાતોનું માનવું છે કે હાથીઓ જંગલમાં ઝાડી ઝાખરા અને નાની વનસ્પતિઓને ખોરાક તરીકે ઉપયોગ કરીને જંગલ વિકસાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેના પોદળામાંથી કેટલીક વનસ્પતિઓના બીજ નિકળે છે જે જંગલમાં ઉગે છે.આમ હાથી જંગલમાં માળીનું કામ કરે છે. હાથીઓની વસ્તી ઘટતી જશે તો કુદરતી સંતુલન જોખમાશે.