લંડનમાં 24 વર્ષીય હર્ષિતાની હત્યા કેસમાં પતિ મુખ્ય આરોપી
કારની ડેકીમાંથી લાશ મળી આવી હતી
પતિ અવારનવાર મારપીટ કરતો હતી, મારી નાખશે તેવી આશંકા વ્યકત કરી હતી
હત્યાના ૧૯ દિવસ બાદ હર્ષિતાનો મૃતદેહ તેના દિલ્હી નિવાસસ્થાને પહોચ્યો છે. ત્યારે, હર્ષિતાની બહેને કહ્યું કે, હર્ષિતા બાળક જેવી હતી અને ક્યારેય કોઈની સાથે લડાઈ કરતી નહતી. હર્ષિતાના પરિવારે તેના પતિ પંકજ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. પરિવારનું કહેવું છે કે, તેનો પતિ હત્યા બાદ ભારત પરત આવી ગયો હતો. પરિવારે દિલ્હી પોલીસની મદદ માંગી છે.
હર્ષિતા અને પંકજે ગત વર્ષે ઓગસ્ટમાં કોર્ટ મેરેજ કર્યા હતા. જે બાદ હર્ષિતાનો પતિ યુકે જતો રહ્યો હતો અને તે વીઝા અરજી બાદ ભારતમાં રહી હતી. પંકજ પરત આવ્યા બાદ બંનેએ હિંદુ રીતરિવાજથી લગ્ન કર્યા હતા અને તે ૩૦ એપ્રિલના રોજ લંડન રવાના થઈ ગઈ હતી. હર્ષિતાના પરિવારના જણાવ્યા અનુસાર, ત્યારબાદથી હર્ષિતાને તે હેરાન કરવા લાગ્યો હતો.
રિપોર્ટ મુજબ,પંકજ લંડનમાં ઘર ખરીદવા માંગતો હતો અને તે માટે તે હર્ષિતાના પરિવાર પાસેથી નાણાની માંગ કરી રહ્યો હતો. હર્ષિતાની માતાનું કહેવું છે કે, હત્યા પહેલા હર્ષિતાએ ફોન કરીને જણાવ્યું હતું કે, પંકજ તેની સાથે મારઝૂડ કરતો હતો અને તેને શંકા હતી કે, પંકજ તેની હત્યા કરી શકે છે. પંકજ પર યુકેમાં મારઝૂડનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો.