ભારતીય નૌસેનાના આઠ પૂર્વ અધિકારીઓની કિસ્મતનો ફેંસલો હવે કતારના અમીરના હાથમાં

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
ભારતીય નૌસેનાના આઠ પૂર્વ અધિકારીઓની કિસ્મતનો ફેંસલો હવે કતારના અમીરના હાથમાં 1 - image


Image Source: Twitter

દોહા, તા. 1 નવેમ્બર 2023

કતારની કંપનીમાં કામ કરતા ભારતીય નૌ સેનાના આઠ પૂર્વ અધિકારીઓને જાસૂસીના મામલામાં કતારની કોર્ટે ફાંસીની સજા આપી છે.

આ ચુકાદા બાદ ભારત સરકારની ઉઁઘ હરામ થઈ ગઈ છે. ફાંસીની સજા માફ કરાવવાના વિકલ્પો પર ભારત વિચારણા કરી રહ્યુ છે અને તેમાં કતારના અમીરની માફીના વિકલ્પનો પણ સમાવેશ થાય છે.

ભારત સરકાર દ્વારા આ નૌ સૈનિકોને છોડાવવા માટે રાજદ્વારી પ્રયાસો પણ થઈ રહ્યા છે. યોગાનુયોગ ફાંસી આપવાના મામલામાં કતારનો કોઈ વ્યાપક રેકોર્ડ નથી. છેલ્લે કતારે 2020માં નેપાળના એક નાગરિકને ફાંસી આપી હતી અને આ પહેલા 20 વર્ષ સુધી કતારે કોઈને ફાંસી આપી નહોતી.

ભારતીય નેવીના પૂર્વ અધિકારીઓના પરિવારોને ભારત સરકારના વિદેશ મંત્રી જયશંકરે આશ્વાસન આપીને કહ્યુ છે કે, આ અધિકારીઓને છોડાવવા માટે ભારત સરકાર કોઈ કસર બાકી નહીં રાખે.

ભારતના સંરક્ષણ વિશેષજ્ઞ બ્રહ્મ ચેલાનીના કહેવા અનુસાર ભારત સરકાર પૂર્વ અધિકારીઓને જામીન અપાવવામાં નિષ્ફળ રહી છે. હવે અધિકારીઓ પાસે અપીલ કોર્ટમાં જવાનો અને ત્યાં પણ સજા યથાવત રહે તો સુપ્રીમ કોર્ટ પાસે જવાનો વિકલ્પ રહ્યો છે. જોકે આ મામલામાં જે પ્રકારના આરોપો મુકવામાં આવ્યા છે તે જોતા તો આઠ અધિકારીઓની કિસ્મત હવે કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીના હાથમાં છે. તેમની પાસે કોઈ પણ કેદીની સજા માફ કરવાનો કે ઓછી કરવાનો અધિકાર છે.

કતારના અમીર દર વર્ષે રમઝાન વખતે અને કતારના 18 ડિસેમ્બરે ઉજવાતા રાષ્ટ્રીય દિવસ નિમિત્તે ઘણા કેદીઓની સજા માફ કરતા હોય છે.


Google NewsGoogle News