નેપાળમાં લેન્ડિંગ પહેલા જ હેલિકોપ્ટર થયું ક્રેશ, પાયલટ ગંભીર રીતે ઘાયલ
Image Source: Twitter
- લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયા બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી ગઈ હતી
નવી દિલ્હી, તા. 14 ઓક્ટોબર 2023, શનિવાર
નેપાળમાં શનિવારે એક હેલિકોપ્ટર અકસ્માતનો શિકાર બની ગયુ હતું. આ દુર્ઘટનામાં પાયલટ ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મનાંગ એરનું આ હેલિકોપ્ટર સોલુખુમ્બુ તરફ ઉડાન ભરી રહ્યું હતું પરંતુ પર્વતીય વિસ્તાર લોબુચેમાં તે ક્રેશ થઈ ગયુ હતું. આ દુર્ઘટના આજે વહેલી સવારે બની હતી.
નેપાળના સિવિલ એવિએશન ઓથોરિટીના ડેપ્યુટી ડાયરેક્ટર જગન્નાથ નિરૌલાએ જણાવ્યું કે, હેલિકોપ્ટર 9N ANJ ઉત્તર-પૂર્વ નેપાળમાં લોબુચેમાં લેન્ડિંગ કરતી વખતે અસંતુલિત થઈ ગયુ અને તેમાં આગ લાગી ગઈ. હેલિકોપ્ટરે યાત્રીઓને લેવા માટે સવારે 7:13 વાગ્યે લુક્લાથી સોલુખુમ્બુ માટે ઉડાન ભરી હતી. પરંતુ લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયા બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં એકલા સવાર કેપ્ટન પ્રકાશ કુમાર સેધાઈ ગંભીર રીતે ઘાયલ થયા થઈ ગયા હતા.
દુર્ઘટનાના કારણોની થશે તપાસ
ગન્નાથ નિરૌલાએ જણાવ્યું કે, ઘાયલ પાયલટને સારવાર માટે એરલિફ્ટ કરીને કાઠમંડુ લઈ જવામાં આવ્યા છે. હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, હેલિકોપ્ટરનું નિયંત્રણ ગુમાવવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. અગાઉ 11 જુલાઈના રોજ સોલુખુમ્બુ જિલ્લાના લિખુપિક ગ્રામીણ નગરપાલિકાના લમજુરામાં મનાંગ એરનું હેલિકોપ્ટર ક્રેશ થઈ જતા છ લોકોના મોત થયા હતા. કેપ્ટન ચેત બહાદુર ગુરુંગ અને બોર્ડ પરના પાંચ મેક્સિકન નાગરિકો સાથેનું હેલિકોપ્ટર સાથે 11 જુલાઈની સવારે સંપર્ક તૂટી ગયો હતો અને બાદમાં લજમુરાના ચિહાંદાંડામાં ક્રેશ થઈ ગયુ હતું જે જિરી અને ફાપ્લુની વચ્ચે સ્થિત છે.