પાકિસ્તાનમાં જળબંબાકાર, ત્રણ દિવસથી ભારે વરસાદ 40નાં મોત, 600 ઘર જમીનદોસ્ત

Updated: Apr 16th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનમાં જળબંબાકાર, ત્રણ દિવસથી ભારે વરસાદ 40નાં મોત, 600 ઘર જમીનદોસ્ત 1 - image


Pakistan floods:  પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી ગલીઓ તળાવમાં ફેરવાઇ ગયા છે, મોટા ભાગના રસ્તાઓ ધોવાઇ ગયા છે.

પરિસ્થિતિ તે તબક્કે બગડી છે કે સરકારે બલૂચિસ્તાનમાં કટોકટી જાહેર કરી છે. ભારે વરસાદના પગલે વિવિધ પ્રદેશો મળીને કુલ 40 લોકોના મોત નિપજ્યાં છે. તેમાંથી 12 લોકોના મોત તો માત્ર રવિવારે ખૈબર પખ્તૂનખ્વામાંજ થયા છે. આ ઉપરાંત પંજાબમા ૪ અને બલૂચિસ્તાનમા બે લોકોના મોત થયા છે. બલૂચિસ્તાનના મકરાનમા રવિવારે ભારે થી અતિભારે વરસાદ સાથે અનેક જગ્યાએ વીજળી પડી હતી, આ ઘટનામા વધુ બે લોકોના મોત થયા છે. 

એકલા બલૂચિસ્તાનમાં મૃત્યું આંક વધીને 10 થયો છે. વરસાદની હાલત એટલી ગંભીર છે કે રાજધાની ક્વેટામાં કટોકટી જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ ઓનલાઇન મીટિંગ બોલવીને પરિસ્થિતિની સમિક્ષા કરી હતી. વરસાદના પગલે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં હાલત બગડી ગઇ છે. પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે પરિસ્થિતિ સામે કામ પાર પાડવા મીટિંગ બોલાવી હતી. તેમણે બેઠક બાદ કહ્યું હતું કે તેઓએ બચાવ દળને નિર્દેશ આપ્યો છે કે તાત્કાલિક લોકોની મદદ કરે.

 શહબાઝ શરીફે આશા વ્યક્ત કરી કે વરસાદ પડવાથી જળાશયોમાં થોડુ પાણી ભરાશે, કેમ કે વિવિધ જગ્યાએ સરોવર અને તળાવો સુકાવાને આરે હતાં. હવે આ વરસાદથી થોડી રાહત મળશે. અફઘાનીસ્તાનમા વરસાદથી 33 લોકોના મોત જ્યારે 27 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. તાલિબાન શાસિત અફઘાનિસ્તાનમા વરસાદથી વિવિધ જગ્યાએ 600 ઘર જમીનદોસ્ત થયા છે જ્યારે 200 જેટલા પશુઓના મોત નિપજ્યાં છે. આ વરસાદના પગલે ખેતીવાડીને પારાવાર નુકશાન થયું છે અને રોડની હાલત બદતર બની છે.

બલૂચિસ્તાનના સીએમ સરફરાઝ બુગતીએ કહ્યું કે ઘણી જગ્યાએ નાળા જામ હોવાથી પાણી વહી જવાના બદલે સડકો પર જ ભરાઇ ગયું છે. પાકિસ્તાન ડીઝાસ્ટર મેનેજમેન્ટ  ઓથોરિટીના પ્રવક્તા યુનૂસ મેંગલે કહ્યું કે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સ્કુલ અને અન્ય સંસ્થાઓમાં મંગળવાર સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. 


Google NewsGoogle News