ગાઝાપટ્ટીમાંથી હમાસે 3 ઈઝરાયેલીઓ બંધકો મુક્ત કર્યા, 2,000 જેટલા પેલેસ્ટાઈનીઓ હજી ઇઝરાયેલના હાથમાં બંધક છે
- શનિવારથી ઇજાગ્રસ્ત પેલેસ્ટાઈનીઓને હવે મુક્ત કરવાનું શરૂ કરાયું છે, 7 ઓક્ટો. 23' પછી ઇઝરાયેલી હુમલામાં 47,000 પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા છે
ખાનયુનિસ (ગાઝાપટ્ટી) : ગાઝા પટ્ટીનાં આ શહેરમાં આજે સવારે રેડક્રોસનાં વાહનો આવી પહોંચ્યાં હતાં અને તેમણે ૬૫ વર્ષના અમેરિકન-ઇઝરાયલી કીથ સીગલ તથા બે અન્ય બંધકો ૩૫ વર્ષીય યોર્ડન બીબાસ તથા ૫૪ વર્ષના ફ્રેન્ચ-ઇઝરાયેલી બંધક ઓફેર કાલ્ડેરોનને લઈ સારવાર અર્થે ઇઝરાયેલી હોસ્પિટલમાં પહોંચાડયા હતા.
વાસ્તવમાં ઇઝરાયેલમાં હજી પણ બંધક રખાયેલા ૨,૦૦૦ જેટલા પેલેસ્ટાઈની બંધકોની ક્રમે ક્રમે કરતી મુક્તિના બદલામાં આ ત્રણને મુક્ત કરાયા છે. તે અદલા-બદલી અંગે તા. ૧૯ જાન્યુ. ૨૦૨૫ના દિને શરૂ થયેલી યુદ્ધ વિરામ સમજૂતીના ભાગરૂપે છે. આના પગલે ઇજાગ્રસ્ત પેલેસ્ટાઈનીઓને ઈજીપ્ત તરફની ગાઝાની સરહદેથી પણ જવા દેવાની ઇઝરાયેલી સૈન્યએ પરવાનગી આપશે તેવી આશા રખાય છે.
હવે આ શાંતિ-સમજૂતી પ્રમાણે ૨,૦૦૦ પેલેસ્ટાઇનીઓને ઇઝરાયેલ મુક્ત કરવાનું છે. તે સામે ૩૩ ઇઝરાયલીઓને મુક્ત કરાશે. આ શાંતિ-સમજૂતીમાં યુરોપીય મિશને મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
પેલેસ્ટાઈની આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે ૫૦ જેટલાં ઇજાગ્રસ્ત બાળકોને પણ ઈજીપ્ત તરફની રાફાહ-બોર્ડરેથી તેમના ૬૧વળાવિયા સાથે મુક્ત કરવામાં આવનાર છે.
આ રીતે બંધકોની મુક્તિનો પહેલો તબક્કો તો પૂરો થયો છે. પરંતુ હવે બીજો કે ત્રીજો કે તે પછીના તબક્કા માટે ચિંતા કારણ કે હમાસે કહી દીધું છે કે ઇઝરાયેલી સેના સંપૂર્ણરીતે ગાઝા પટ્ટી ખાલી નહીં કરે તો, અમે બીજા બંધકોને મુક્ત કરીશું નહીં. આ સાથે ફરી ગાઝા પટ્ટી અશાંત બનવાની ભીતિ રહેલી છે.
ઉલ્લેખનીય છે કે ૭ ઓક્ટોબર ૨૦૨૩ની સાંજે હમાસે દક્ષિણ ઇઝરાયેલમાં ચાલતા એક ધાર્મિક ઉત્સવમાં હુમલો કરી ૧,૨૦૦ જેટલા ઇઝરાયેલીઓને મારી નાખ્યા હતા અને ૨૫૦થી વધુનાં અપહરણ કર્યા હતાં તેનાં વળતા જવાબમાં ઇઝરાયેલે કરેલા ભૂમિ દળ અને હવાઈ હુમલામાં ૪૭,૦૦૦ પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા છે.