મ્યાનમારમાં ફરી શક્તિશાળી ભૂકંપ: 5.1ની તીવ્રતાનો આંચકો, અત્યાર સુધી સેંકડો મોત
Earthquake Strikes Myanmar : મ્યાનમારમાં 28 માર્ચે 7.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ વારંવાર આફ્ટરશોક આવી રહ્યા છે. 24 જ કલાકમાં મ્યાનમારમાં 15 વખત ધરા ધ્રુજી, જોકે આજે ફરી શક્તિશાળી ભૂકંપના આંચકા આવ્યા છે. આજે આવેલા ભૂકંપની તીવ્રતા 5.1 નોંધાઈ. લોકો જીવ બચાવવા માટે ફરી ઘર છોડીને બહાર આવી ગયા હતા.
સેંકડો મોતની પુષ્ટિ, રેસ્ક્યુ ઓપરેશન શરુ
ભૂકંપ બાદ મ્યાનમાર અને થાઇલૅન્ડમાં ઠેર ઠેર તારાજી જોવા મળી રહી છે. સત્તાવાર આંકડા અનુસાર એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે બે હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. અમેરિકાની જિયોલૉજીકલ સર્વે એજન્સી USGSનો તો દાવો છે કે મ્યાનમારમાં જ ભૂકંપના કારણે 10 હજારથી વધુ લોકોના મૃત્યુની આશંકા છે. જોકે હજુ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને ગુમ થયેલા લોકોને શોધવામાં આવી રહ્યા છે. થાઇલૅન્ડના પાટનગર બેંગકોકમાં 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
ભૂકંપ બાદથી જ મ્યાનમારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે જાનમાલના નુકસાનની જાણકારી દુનિયા સામે નથી આવી રહી. મ્યાનમારમાં સેનાએ ઇમરજન્સીની જાહેરાત કરી છે તથા દુનિયાના દેશોને મદદ કરવા માટે અપીલ કરી છે.
મ્યાનમારની વ્હારે આવ્યું ભારત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમારની સેનાના જનરલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે તથા સંભવ તમામ મદદ માટે આશ્વાસન આપ્યું છે. ભારતીય વાયુસેના ગઈકાલ રાત્રિથી જ મ્યાનમારમાં રાહત સામગ્ર પહોંચાડી રહી છે. ભારતે મ્યાનમારની મદદ માટે ઓપરેશન બ્રહ્મા શરુ કર્યું છે કે હેઠળ આવશ્યક દવાઓ, સોલર કેમ્પ, જનરેટર, સ્લીપિંગ બેગ અને ટેન્ટ જેવા સામાન મોકલવામાં આવી રહ્યા છે.