અફઘાનિસ્તાનમાં પૂરથી પ્રજાની માઠી દશા : 300થી વધુનાં મોત, અનેક ઘાયલ

Updated: May 12th, 2024


Google NewsGoogle News
અફઘાનિસ્તાનમાં પૂરથી પ્રજાની માઠી દશા : 300થી વધુનાં મોત, અનેક ઘાયલ 1 - image


- બિસ્કિટ ખાઈ દિવસ ગુજારવાના સમય આવ્યો

- ભારે વરસાદ પછી પૂરના લીધે બગલાન, બડકખાન, ઘોર અને હેરત વિસ્તાર સૌથી વધારે અસરગ્રસ્ત

કાબુલ : અફઘાનિસ્તાનની બરોબરની માઠી દશા બેઠી છે. ભારે વરસાદ પછી આવેલા પૂરના લીધે ૩૦૦થી વધુ લોકોના મોત થયા છે. આ ઉપરાંત બે હજારથી વધારે મકાનો ધ્વસ્ત થઈ ગયા છે અને કેટલાય મકાનોને નુકસાન પહોંચ્યું છે. તેની સાથે કેટલાય ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. અફઘાનિસ્તાનના બગલાન, બડકખાન, ઘોર અને હેરત વિસ્તારમા ભારે વરસાદ બાદ પૂરથી સૌથી વધુ ખાનાખરાબી થઈ છે. 

તાલિબાન સરકારના મુખ્ય પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે આ પૂરના લીધે મોટાપાયા પર લોકોના મોત થયા છે અને  કેટલાયને ઇજા થઈ છે. કેટલાયના મકાનો નાશ પામતા તેઓ વિસ્થાપિત થઈ ગયા છે. 

તેણે જણાવ્યું હતું કે બડકશાન, બગલાન, હેરત અને ઘોરમાં સૌથી વધારે નાણાકીય નુકસાન અને જાનહાનિ થઈ છે. 

તેમણે જણાવ્યું હતું કે સરકારે લોકોને બચાવવા બધા સંસાધનો કામે લગાડી દીધા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલાઈ રહ્યા છે અને મૃતદેહોનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.

તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે દેશની એરફોર્સે બચાવવાનું શરુ કર્યુ છે. કેટલાય લોકો પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા છે. તેઓને એરલિફ્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલા અધિકારીઓએ ભાર વરસાદ અને પૂરના લીધે ૭૦થી વધુ લોકો મરી ગયા હોવાનો દાવો કર્યો હતો.

બગલાનની જોડે આવેલા તખર પ્રાંતની સરકારી હોસ્પિટલોમાં જ ૨૦થી વધુ મૃતદેહો પડેલા છે. અફઘાનિસ્તાનમાં તકલીફોનો અંત નથી. લોકો આમ પણ અનેક પરેશાનીઓ અને તકલીફોનો સામનો કરી રહ્યા હતા અને હવે પૂરે તેમની સ્થિતિ અત્યંત વિપરીત કરી નાખી છે. તેમના માટે જીવન દોહ્યલુ બની ગયું છે. યુએનના ફૂડ રાહત કાર્યક્રમ હેઠળ અફઘાનીઓ બિસ્કીટ ખાઈને જીવન ગુજારવાનો દિવસ આવ્યો છે. 


Google NewsGoogle News