Get The App

નદીઓના પૂરથી પાકને બચાવતા તરતા બગીચા, વિશ્વની અનોખી કૃષિ વિરાસત

યુએને આ તરતા બગીચાઓને કૃષિ વિરાસત ગણી છે

જળ વનસ્પતિમાંથી ૩ ફૂટ જેટલું ઉંડુ પડ તૈયાર થાય છે

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
નદીઓના પૂરથી પાકને બચાવતા તરતા  બગીચા, વિશ્વની અનોખી કૃષિ વિરાસત 1 - image


નવી દિલ્હી, 21 નવેમ્બર,2024,ગુરુવાર 

કૃષિમાં પાણીની અછતની જેમ જ અતિવૃષ્ટિ પણ નુકસાન કરે છે. નદીઓનો જળ પ્રવાહ ઉભા પાક પર ફરી વળે ત્યારે સમગ્ર પાક ધોવાઇ જાય છે. આ સમસ્યાના ટકાઉ સમાધાન માટે બાંગ્લાદેશમાં તરતા બગીચાઓ તૈયાર કરીને ખેતી કરવામાં આવે છે. આ તરતા બગીચામાં સરળતાથી વિવિધ શાકભાજી પાકો ઉગાડી શકાય છે જે પ્રચંડ પૂર આવે ત્યારે પણ તરતા રહે છે. બાંગ્લાદેશમાં કાર્બન ઉત્સર્જનની સમસ્યા વધારે નથી તેમ છતાં ગરીબ ખેડૂતો જળવાયુ પરીવર્તનનો ભોગ બની રહયા છે ત્યારે આ તરતા ખેતર આશિર્વાદરુપ બન્યા છે.

નદીઓના પૂરથી પાકને બચાવતા તરતા  બગીચા, વિશ્વની અનોખી કૃષિ વિરાસત 2 - image

આ તરતા બગીચા પૂર પીડિત ગ્રામીણ વિસ્તારોમાં આવકનું સાધન બન્યા છે. જો કે દુનિયામાં જળવાયુ પરીવર્તનનો મુદ્વો ન હતો તે પહેલા આ તરતા બગીચાઓમાં ખેતી થાય છે. દાયકાઓ પહેલા વરસાદની સિઝનમાં નદીઓમાં પાણી ભરાઇ ત્યારે તરતા બગીચામાં ખેતી કરવાની ટેકનિક લોકો જાણતા હતા. આ તરતા બગીચાઓ જળકુંભી જેવી જળમાં વિંટળાઇને રહેતી જળ વનસ્પતિઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. પાણીની લહેરોની સાથે જ તે હલનચલન કરતા રહે છે. એ રીતે જોઇએ તો આ તરતા બગીચા પાણીમાં તરતા બિસ્તરની જેમ હોય છે.

નદીઓના પૂરથી પાકને બચાવતા તરતા  બગીચા, વિશ્વની અનોખી કૃષિ વિરાસત 3 - image

આ તરતા બગીચામાં ફેલાતી જતી જળ વનસ્પતિમાંથી વર્ષો પછી ૩ ફૂટ જેટલું ઉંડુ પડ તૈયાર થાય છે. વચ્ચે જે પોલાણ હોય છે તેમાં ખેતરની માફક જ શાકભાજીના ટુંકા ગાળાના પાકો વાવી શકાય છે.  પાક ઉત્પાદન પછી છોડ સુકાઇ જાય ત્યારે તેના સડેલા અવશિષ્ટ પદાર્થોમાંથી ખાતર બને છે.બાંગ્લાદેશના દક્ષિણ ભાગમાં જયાં પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં આજકાલ કરતા ૩૦૦ વર્ષથી તરતા બગીચામાં ખેતી થાય છે. બારીસલ,ગોપલાગંજ ફલોટિંગ એગ્રીકલ્ચર માટે જાણીતા છે. આ પધ્ધતિને સ્થાનિક ભાષામાં ધેપ કહેવામાં આવે છે.

નદીઓના પૂરથી પાકને બચાવતા તરતા  બગીચા, વિશ્વની અનોખી કૃષિ વિરાસત 4 - image

દરિયાકાંઠાના વિસ્તારોના ખેડૂતો આ રીતે શાકભાજી ઉગાડીને આવક મેળવે છે.  આ પ્રકારના તરતા બગીચા નદીઓના પ્રવાહમાં આવતા વિસ્તારોમાં ખાસ જોવા મળે છે. આ બગીચાઓમાં ભીંડા, દૂધી, રીંગણા અને પાલક જેવા શાકભાજી સરળતાથી ઉગાડી શકાય છે. કેટલાક ખેડૂતો સિમિત પ્રમાણમાં હળદર અને આદૂનું પણ ઉત્પાદન લે છે. ભારત, કંબોડિયામાં પણ એક બે સ્થળે તરતા બગીચા જોવા મળે છે પરંતુ યુએનના રાષ્ટ્રીય ખાધ્ય અને કૃષિ સંગઠને બાંગ્લાદેશના આ તરતા બગીચાઓને કૃષિ વિરાસત તરીકેનો દરજજો આપ્યો છે. 


Google NewsGoogle News