સિંગાપુરમાં કોરોનાની નવી લહેર, 2 નવા વેરિયન્ટ્સના કારણે કેસમાં મોટો ઉછાળો, સ્વાસ્થ્ય વિભાગ દોડતું થયું

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
સિંગાપુરમાં કોરોનાની નવી લહેર, 2 નવા વેરિયન્ટ્સના કારણે કેસમાં મોટો ઉછાળો, સ્વાસ્થ્ય વિભાગ દોડતું થયું 1 - image


Image Source: Twitter

- સિંગાપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી દૈનિક કોરોનાના કેસો બે હજારને પાર

નવી દિલ્હી, તા. 08 ઓક્ટોબર 2023, રવિવાર

વિશ્વભરમાં ભલે કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હોય પરંતુ તેનું વૈશ્વિક જોખમ હજુ પણ યથાવત જ છે. યુકે-યુએસ સહિત ઘણા દેશોમાં છેલ્લા મહિનાઓમાં સંક્રમણના કેસોમાં વધારો નોંધાયો છે. કોરોનાના નવા વેરિએન્ટના કારણે હોસ્પિટલોમાં દર્દીઓ અને મૃતકોની સંખ્યામાં વધારો નોંધાયો હોવાના અહેવાલો મળ્યા છે. આ વચ્ચે તાજેતરના અહેવાલ પ્રમાણે કોરોનાને કારણે સિંગાપુરમાં સ્થિતિ વધુ વણસી હોવાના સમાચાર મળી રહ્યા છે. કોરોનાના બે નવા વેરિએન્ટના કારણે ત્યાં કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે ગંભીર દર્દીઓની સંખ્યા ઓછી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સિંગાપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી દૈનિક કોરોનાના કેસો બે હજારને પાર કરી રહ્યા છે. લગભગ ત્રણ અઠવાડિયા પહેલા દૈનિક સંક્રમણની સંખ્યા એક હજારની આસપાસ હતી જેમાં હવે વધારો નોંધાઈ રહ્યો છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે, અહીં કોરોનાના બે નવા વેરિએન્ટો મળી આવ્યા છે, જેના કારણે સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. 

આરોગ્ય વિભાગે દેશના તમામ લોકોને કોવિડ એપ્રોપિએટ બિહેવિયરનું ગંભીરતાથી પાલન કરતા રહેવાની અપીલ કરી છે. 

સિંગાપુરમાં બે વેરિએન્ટસના કારણે સંક્રમણના કેસમાં વધારો 

પ્રાપ્ત માહિતી પ્રમાણે દેશમાં વધી રહેલા કોરોના કેસ માટે મુખ્યરૂપે બે વેરિએન્ટસ EG.5 અને તેનો સબ વેરિએન્ટસ HK.3ને પ્રમુખ કારણ માનવામાં આવી રહ્યું છે. આ બંને ઓમિક્રોન XBBના જ સબ વેરિએન્ટ છે. તાજેતરમાં વધી રહેલા સંક્રમણના કેસોમાંથી 75% માટે આ બે વેરિએન્ટને જ પ્રમુખ કારણના રૂપમાં જોવામાં આવી રહ્યા છે. દેશમાં જે પ્રમાણે સંક્રમણના કેસોમાં ઉછાળો આવ્યો છે તો આવી સ્થિતિમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કોરોનાની વધુ એક લહેર આવી શકે છે. 

શું કહ્યું આરોગ્ય મંત્રીએ?

આરોગ્ય મંત્રી ઓંગ યે કુંગે જણાવ્યું કે, દેશમાં સંક્રમણના કારણે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે. મોટાભાગના સંક્રમિતોમાં માત્ર હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. ભલે કોરોનાના કેસમાં વધારો થયો હોય પરંતુ તેને હજુ પણ એન્ડેમિક ડિસીસ તરીકે જ જોવામાં આવી રહ્યો છે. આ વાયરસથી કોઈ મોટો આરોગ્ય જોખમ નથી. જોકે, નવા વેરિએન્ટના સંક્રમણ દરના કારણે આગામી અઠવાડિયામાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી શકે છે. તેના માટે આરોગ્ય એક્સપર્ટને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 

કેવી છે નવા વેરિએન્ટોની પ્રકૃતિ

EG.5 અને HK.3 આ બે વેરિએન્ટ્સને સંક્રમણના વધતા કેસોનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યુ છે. આ નવા વેરિએન્ટોની પ્રકૃતિને સમજવા માટે અધ્યયન કરવામાં આવી રહ્યુ છે. નવા વેરિઅન્ટના જિનોમ સિક્વન્સિંગથી જાણવા મળ્યું છે કે HK.3 એ ડબલ મ્યુટેન્ટ વેરિએન્ટ છે.  XBB.1.16 સ્ટ્રેનની તુલનામાં 95% વધુ ઝડપથી ફેલાવાનું જોખમ છે. Omicron ના અન્ય વેરિએન્ટની જેમ તેમાં પણ શરીરની રોગપ્રતિકારક શક્તિને સરળતાથી નાશ કરવાનું જોખમ હોઈ શકે છે. 

HK.3 ના કેસો અગાઉ થાઈલેન્ડમાં પણ નોંધાયા હતા. જો કે ત્યાં સ્થિતિ વેરિએન્ટને કારણે વધુ વણસી ન હતી.


Google NewsGoogle News