કાં તો ઈમરાન ખાનની હત્યા થઈ જશે કાં તો પછી... પાકિસ્તાનના ગૃહમંત્રી સનાઉલ્લાહનું નિવેદન
- ગત વર્ષે નવેમ્બરમાં પંજાબના વજીરાબાદમાં એક રેલી દરમિયાન ઈમરાન ખાન પર ગોળી ચલાવવામાં આવી હતી
ઈસ્લામાબાદ, તા. 27 માર્ચ 2023, સોમવાર
પાકિસ્તાનમાં પીટીઆઈ અને પીએમએલ-એનના નેતાઓ વચ્ચે વિવાદ ચાલુ જ છે. પાકિસ્તાનમાં શાસક પક્ષ અને વિપક્ષી પક્ષો વચ્ચે એકબીજા પર આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો દોર ચાલુ છે. આ દરમિયાન પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે ઈમરાન ખાન વિશે વાત કરી છે.
રાણા સનાઉલ્લાહે કહ્યું કે ભૂતપૂર્વ વડા પ્રધાન અને પીટીઆઈના વડા ઈમરાન ખાનને સત્તાધારી પીએમએલ-એનના 'દુશ્મન' તરીકે ઓળખવામાં આવે છે. તેમણે કહ્યું કે, ઈમરાન ખાન દેશની રાજનીતિને એવા મુકામ પર લઈ ગયા છે જ્યાં કાં તો તેઓ (ઈમરાન)ની હત્યા થશે અથવા મારી હત્યા થશે.
પાકિસ્તાન મુસ્લિમ લીગ (N) (PML-N)ના વરિષ્ઠ નેતા જેઓ ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના ખૂબ નજીકના વ્યક્તિ છે. ઈમરાન ખાન વિશેના તેમના આ નિવેદને રાજકીય વર્તુળોમાં ખાસ કરીને ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)માં હોબાળો મચાવી દીધો છે. ગત વર્ષે નવેમ્બરમાં પંજાબના વજીરાબાદમાં એક રેલી દરમિયાન ઈમરાન ખાન પર ગોળી ચલાવવામાં આવી હતી.
આ જીવલેણ હુમલા બાદ ઈમરાન ખાને તેમની હત્યાના કાવતરા પાછળ ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહનું નામ લીધું હતું. બીજી તરફ ઈમરાન ખાને તેની હત્યાના કાવતરામાં FIR પણ નોંધી હતી. જેમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને વડાપ્રધાન શહેબાઝ શરીફ અને આઈએસઆઈના એક વરિષ્ઠ અધિકારીના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પાકિસ્તાનના ગૃહમંત્રી સનાઉલ્લાહે રવિવારે એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે કાં તો ઈમરાન ખાન અથવા તો અમને મારી નાખવામાં આવશે. તેમણે દેશની રાજનીતિને હવે એવા મુકામ પર લઈ ગયા છે જ્યાં બેમાંથી એક જ બચી શકે છે. સનાઉલ્લાહે જાહેર કર્યું કે, પીએમએલ-એનનું સમગ્ર અસ્તિત્વ જોખમમાં છે અને અમે તેની સાથે સમાધાન કરવા માટે કોઈપણ હદ સુધી જઈશું. ઈમરાન ખાને રાજકારણને દુશ્મનીમાં ફેરવી દીધું છે. ઈમરાન ખાન હવે અમારો દુશ્મન છે અને તેમની સાથે આવું જ વર્તન કરવામાં આવશે.