કાશ્મીર મુદ્દે ચીનનું દોઢ ડહાપણ, ભારતને કહ્યું પાકિસ્તાન સાથે વાતચીત કરો

પાકિસ્તાનના પત્રકારના સવાલ પર ચીને પોતાનો મત વ્યક્ત કર્યો

આ પહેલા પાકિસ્તાને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ઝેર ઓક્યું હતું

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
કાશ્મીર મુદ્દે ચીનનું દોઢ ડહાપણ,  ભારતને કહ્યું પાકિસ્તાન સાથે વાતચીત કરો 1 - image


china on article-370 : સુપ્રીમ કોર્ટના અનુચ્છેદ 370ના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ચીને કાશ્મીર મુદ્દે પોતાનો મત વ્યક્ત કર્યો છે. ચીનનું માનવું છે કે ભારત અને પાકિસ્તાને વાતચીત અને પરામર્શ દ્વારા કાશ્મીર સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. 

કાશ્મીર મુદ્દે ચીનની સલાહ

દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે બે દિવસ પહેલા એટલે કે 11 ડિસેમ્બરે કલમ 370 પર પોતાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્રના નિર્ણયને કાયદેસર ઠેરવ્યો હતો. કોર્ટે કહ્યું કે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પરત મળવો જોઈએ તેમજ નવા સીમાંકનના આધારે જમ્મુ-કાશ્મીરમાં વહેલી તકે ચૂંટણી યોજવી જોઈએ. આ મામલે  ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે કાશ્મીર મુદ્દે ચીનની સ્થિતિ સ્પષ્ટ અને અસ્પષ્ટ છે. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ ઘણો જૂનો વિવાદ છે અને તેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના ઠરાવો અને સંબંધિત દ્વિપક્ષીય કરારો અનુસાર શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પાકિસ્તાનના પત્રકારના સવાલ પર પોતાનો મત વ્યક્ત કર્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે વધુમાં કહ્યું હતું કે બંને દેશોએ વાતચીત અને પરામર્શ દ્વારા વિવાદનો ઉકેલ લાવવાની અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવાની જરૂર છે. 

પાકિસ્તાને ઝેર ઓક્યું હતું

આ મામલે પ્રતિક્રિયા આપતા પાકિસ્તાને સોમવારે ઝેર ઓકતા કહ્યું હતું કે કલમ 370 પર ભારતીય સુપ્રીમ કોર્ટના નિર્ણયનું કોઈ કાયદાકીય મહત્વ નથી. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કાયદો 5 ઓગસ્ટ, 2019ના ભારતના એકપક્ષીય અને ગેરકાયદેસર પગલાંને માન્યતા આપતો નથી.

કાશ્મીર મુદ્દે ચીનનું દોઢ ડહાપણ,  ભારતને કહ્યું પાકિસ્તાન સાથે વાતચીત કરો 2 - image


Google NewsGoogle News