પાકિસ્તાન સામે ચીન લાલઘૂમ, 4000 સૈનિક સુરક્ષા આપતા હોવા છતાં ચીનના નાગરિકોના સતત મોત

પાકિસ્તાનમાં ફરી એકવાર ચીનના નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા છે

અલગ-અલગ હુમલા પર નજર કરીએ તો 28થી વધુ ચીનના નાગરિકોના મોત

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાન સામે ચીન લાલઘૂમ, 4000 સૈનિક સુરક્ષા આપતા હોવા છતાં ચીનના નાગરિકોના સતત મોત 1 - image
Image Twitter 

China gets angry at Pakistan: પાકિસ્તાનમાં પોતાના નાગરિકોના મોતથી ચીન સ્તબ્ધ બની ગયું છે. ચીન સરકાર દ્વારા સતત પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી રહી છે. ચીનને સૌથી વધારે ગુસ્સો ગ્વાદર અને તેની આસપાસના વિસ્તારોમાં થઈ રહેલા હુમલાઓને લઈને છે, જેમાં બલૂચ લિબરેશન આર્મી ચીની નાગરિકોને નિશાની બનાવી રહ્યી છે. તેમા પણ છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો બલૂચિસ્તાનમાં અલગ-અલગ હુમલાઓમાં ચીનના લગભગ 28 નાગરિકોના મોત થઈ ચૂક્યા છે. આ હુમલા ત્યારે થઈ રહ્યા છે જ્યારે પાકિસ્તાને ચીનના નાગરિકોની સુરક્ષા માટે એક સ્પેશિયલ યુનિટ તૈયાર કર્યું છે, જેમાં ચાર હજારથી વધુ સૈનિકો છે.

સતત વધી રહેલા હુમલાથી ચીન લાલઘૂમ 

પાકિસ્તાનમાં ફરી એકવાર ચીનના નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા છે. ખૈબર પખ્તુનખ્વામાં વિસ્ફોટકોથી ભરેલી કાર લઈને આવેલા હુમલાખોરોએ ચીનના નાગરિકોના વાહનને ટક્કર મારી હતી. આ હુમલામાં છ લોકોના મોત થયા હતા, જેમાંથી પાંચ નાગરિક ચીનના હતા. આ આત્મઘાતી હુમલો ત્યારે થયો જ્યારે ચીનના નાગરિકો ગ્વાદરમાં દાસુ હાઈડ્રો પાવર પ્લાન્ટ જઈ રહ્યા હતા. આ હુમલા પછી ચીને નારાજગી વ્યક્ત કરી ત્યારે પાકિસ્તાન સરકાર ચોંકી ઉઠી હતી. હુમલા બાદ ગૃહમંત્રી મોહસિન નકવી તાત્કાલિક ચીનના દૂતાવાસ પહોંચ્યા અને રાજદૂત જિયાંગ ઝેડોંગ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પણ આ હુમલાની નિંદા કરી કરી હતી, તેમણે સખત શબ્દોમાં વખોડતા કહ્યું હતું કે, પાકિસ્તાન ચીન મિત્રતાને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર છે.

અત્યાર સુધીમાં 28 થી વધુ ચીનના નાગરિકોના મોત

પાકિસ્તાનમાં અત્યાર સુધી બલૂચ લિબરેશન આર્મી દ્વારા કરવામાં આવેલા અલગ-અલગ હુમલાઓ પર નજર કરીએ તો 28 થી વધુ ચીનના નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ પહેલા ઓગસ્ટ મહિનામાં ગ્વાદર જઈ રહેલા કાફલા પર પણ હુમલો થયો હતો જેમાં 4 ચીનના નાગરિકો માર્યા ગયા હતા. તે પહેલા સપ્ટેમ્બર 2022માં એક ડોક્ટર, એપ્રિલ 2022માં ચાર ચાઈનીઝ પ્રોફેસર અને જુલાઈ 2021માં એકસાથે 9 ચીનના એન્જિનિયરોના મોત થયા હતા. આ પહેલા પણ કરાચીમાં બોમ્બ બ્લાસ્ટમાં 3 ચીનના નાગરિકોના મોત થયા હતા. ખૈબર પખ્તુનખ્વામાં બોમ્બ વિસ્ફોટ, દાલબંદિનમાં હુમલો, ચીની વાણિજ્ય દૂતાવાસ અને ક્વેટામાં થયેલા હુમલા સાથે અત્યાર સુધી લગભગ 28 ચીનના નાગરિકોના મોત થઈ ચૂક્યા છે. 

શા માટે ચીનના નાગરિકોને નિશાન બનાવવામાં આવે છે?

પાકિસ્તાનમાં ચીનના નાગરિકોને નિશાન બનાવવાની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી, જ્યારે એક સાથે ચીનના ત્રણ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. આ એ સમય હતો જ્યારે પાકિસ્તાન અને ચીન વચ્ચે CPEC એટલે કે ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરને લઈને વાતચીત શરૂ થઈ હતી. અલગ-અલગ હુમલામાં જેટલા પણ ચીનના નાગરિકો માર્યા ગયેલા તે તમામ આ કોરિડોર સંબંધિત પ્રોજેક્ટનો ભાગ હતા. થોડા દિવસો પહેલા જાપાનની એક મીડિયા સંસ્થા Nikkei Asiaએ આ અંગે એક રિપોર્ટ લખ્યો હતો, તેમા કહેવામાં આવ્યું હતું કે બલૂચિસ્તાન લિબરેશન આર્મી અને અન્ય સંગઠનોને એવું લાગે છે કે ચીનના નાગરિકોના કારણે આ વિસ્તારને નુકસાન થઈ રહ્યું છે. તેમની દલીલ છે કે કોરિડોર પ્રોજેક્ટના નામે કુદરતી સંસાધનોનું શોષણ થઈ રહ્યું છે અને તે પ્રમાણે અહીં વિકાસ થઈ રહ્યો નથી.

પાકિસ્તાનમાં સુરક્ષા કડક કરવાની જરૂર છે : ચીન 

ચીનના નાગરિકો પર થયેલા હુમલા અંગે સિંઘુઆ વિશ્વવિદ્યાલયમાં નેશનલ સ્ટ્રેટેજી ઈન્સ્ટિટ્યૂટના રિસર્ચ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર કિઆન ફેંગે કહ્યું છે કે આ હુમલો પાકિસ્તાન માટે ચેતવણી સ્વરુપ છે,  આ દર્શાવે છે કે પાકિસ્તાનને હજુ પણ સુરક્ષા ક્ષેત્રે ઘણું કામ કરવાની જરૂર છે. ગ્લોબલ ટાઈમ્સમાં પ્રકાશિત થયેલા એક લેખમાં તેમણે આ હુમલાને 2021માં કરવામાં આવેલા હુમલાની કોપી ગણાવી હતી, જેમાં 9 ચીનના નાગરિકો મોત થયા હતા. તેમજ આ પ્રકારના હુમલાઓ દર્શાવે છે કે આતંકવાદી દળો ચીન અને પાકિસ્તાનના આર્થિક કોરિડોરની સફળતા જોવા માંગતા નથી, અને સતત તેને નિષ્ફળ કરવા માટેની  ષડયંત્ર કરી રહ્યા છે.

કોણ છે બલૂચ લિબરેશન આર્મી?

બલૂચિસ્તાનના લોકો આઝાદીના સમયથી પોતાને પાકિસ્તાનનો હિસ્સો નથી માનતા. આ જ કારણે બલૂચિસ્તાનમાં રહેતા લોકોની સાથે સતત અલગ વ્યવહાર કરવામાં આવે છે. એટલે તેમનો ગુસ્સો સતત વધી રહ્યો છે. બલૂચ લિબરેશન આર્મી પહેલીવાર વર્ષ 1970 માં અમલમાં આવી હતી, ત્યારે ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પાકિસ્તાન પર શાસન કરી રહ્યા હતા. તે પછી આ વિરોધ સતત વધતો ગયો. જો કે, બલૂચ લિબરેશન આર્મીનો પાયો નાખવા પાછળ ઝુલ્ફીકારની સભામાં થયેલા હેન્ડ ગ્રેનેડ વિસ્ફોટ હોવાનું માનવામાં આવે છે, જેમાં મજીદ લેંગો નામના યુવકનું મોત થયું હતું.


Google NewsGoogle News