કેનેડામાં રહેતા ભારતીય મૂળના આ વ્યક્તિને કોર્ટે દેશ છોડવાનો આપ્યો આદેશ, જાણો સમગ્ર મામલો
Image Source: Twitter
- આ દુર્ઘટનામાં 16 લોકોના મોત થઈ ગયા હતા અને અન્ય 13 લોકો ઘાયલ થયા હતા
ઓટાવા, તા. 16 ડિસેમ્બર 2023, શનિવાર
નિજ્જર હત્યાકાંડ મામલે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેનેડાના એક ભારતીય મૂળના વ્યક્તિને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. ભારતીય મૂળના ટ્રક ડ્રાઈવર જસકીરત સિંહ સિદ્ધૂને કેનેડા છોડવાનો આદેશ આપ્યો છે. સિદ્ધૂ પર એક ભીષણ બસ દુર્ઘટનાનો આરોપ છે. તે લાંબા સમયથી કોર્ટમાં પોતાનો કેસ લડી રહ્યો હતો પરંતુ જજે હવે તેમને ભારત પરત ચાલ્યા જવાનો આદેશ આપ્યો છે.
એક ન્યાયાધીશે ટ્રક ડ્રાઈવર સિદ્ધૂની અરજીને ફગાવી દીધી અને તેમને ગુરૂવારે ખતરનાક ડ્રાઈવિંગના આરોપોમાં દોષી ઠેરવ્યો છે. આ સાથે જ સિદ્ધૂ કેનેડામાં રહેવાની પોતાની દાવેદારી હારી ગયા છે. આ દુર્ઘટનામાં 16 લોકોના મોત થઈ ગયા હતા અને અન્ય 13 લોકો ઘાયલ થયા હતા. સિદ્ધૂને 8 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી.
અકસ્માતના એક મહિના પહેલા જ તેમણે આ નોકરી શરૂ કરી હતી. આ અકસ્માત 6 એપ્રિલ 2018ના રોજ આર્મલી સસ્કેચેવાન પાસે હાઈવે 35 અને સસ્કેચેવાન હાઈવે 335 ના સર્કલ પર થયો હતો. સિદ્ધૂએ તાજેતરમાં જ લગ્ન થયા હતા અને તે કેનેડાનો કાયમી નિવાસી હતો. સિદ્ધૂ ટિસ્ડેલ (સસ્કેચેવાન) નજીક એક ગ્રામીણ ચોક પરના સ્ટોપ સાઈનને ક્રોસ કરીને જુનિયર હોકી ટીમને પ્લેઓફ ગેમમાં લઈ જતી બસના રસ્તે ચાલ્યા ગયા જેના કારણે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ વર્ષની શરૂઆતમાં સિદ્ધૂને પેરોલ આપવામાં આવી હતી અને કેનેડા બોર્ડર સર્વિસ એજન્સીએ તેમના દેશનિકાલની ભલામણ કરી હતી.