શેખ હસીનાએ હજુ ભારત છોડ્યું નથી, બાંગ્લાદેશના પૂર્વ PMના વિમાનને લઈને આવી મોટી અપડેટ

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
શેખ હસીનાએ હજુ ભારત છોડ્યું નથી, બાંગ્લાદેશના પૂર્વ PMના વિમાનને લઈને આવી મોટી અપડેટ 1 - image


Bangladesh Crisis: બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને સોમવારે (05 ઑગસ્ટ) કહ્યું કે 'અમે વડાપ્રધાન પદ પરથી શેખ હસીનાનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ સાથે રાષ્ટ્રપતિએ પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાને પણ મુક્ત કરવાનો આદેશ આપ્યો છે, જેઓ અનેક મામલામાં દોષિત ઠેરવાયા બાદ નજરકેદ છે. શહાબુદ્દીને સંસદ ભંગ કરીને વચગાળાની સરકાર બનાવવાની પણ જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જે હાલ પૂર્ણ થઈ ગઈ છે.

• શેખ હસીનાએ ભારત છોડ્યું નથી

શેખ હસીના C-130J ટ્રાન્સપૉર્ટ પ્લેનમાં સવાર નથી જેણે આજે સવારે 9 વાગ્યે હિંડન એરબેઝથી ઉડાન ભરી હતી. બાંગ્લાદેશ ઍરફૉર્સનું C-130J ટ્રાન્સપૉર્ટ એરક્રાફ્ટ 7 સૈન્ય કર્મચારીઓ સાથે બાંગ્લાદેશમાં તેના બેઝ તરફ ઉડી રહ્યું છે. સૂત્રોએ આ માહિતી આપી છે.

• બાંગ્લાદેશની સ્થિતિ પર સર્વપક્ષીય બેઠક પૂર્ણ

કેન્દ્ર સરકારે બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, જે હાલ પૂર્ણ થઈ ગઈ છે. સર્વપક્ષીય બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, 'ભારત સરકાર બાંગ્લાદેશની સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહી છે, જે પણ પરિસ્થિતિ હશે તેની જાણકારી આપવામાં આવશે. બાંગ્લાદેશમાં લગભગ 12થી 13,000 ભારતીયો છે. જો કે પરિસ્થિતિ એટલી ચિંતાજનક નથી કે ભારતીયઓને ઍરલિફ્ટ કરવાની જરૂર પડે. શેખ હસીના ભારતમાં રહેશે કે અન્ય કોઈ દેશમાં રાજકીય આશ્રય લેશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકારે હસીના સાથે ટૂંકી ચર્ચા કરી છે.

કેન્દ્ર સરકારે બાંગ્લાદેશ સંકટ અંગે ચર્ચા કરવા સર્વપક્ષીય બેઠક બોલાવી



બાંગ્લાદેશમાં સર્જાયેલા રાજકીય સંકટ વચ્ચે દિલ્હીમાં હલચલ વધી ગઈ છે. કેન્દ્ર સરકારે પાડોશી દેશની સ્થિતિ પર ચર્ચા કરવા માટે સંસદ ભવન ખાતે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર બાંગ્લાદેશની રાજકીય સ્થિતિ અંગે માહિતી આપશે. કેન્દ્ર સરકારના મંત્રી ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ટીએમસીના સુદીપ બંદોપાધ્યાય, સપાના વડા અખિલેશ યાદવ સહિત વિરોધ પક્ષના વરિષ્ઠ નેતાઓ સર્વપક્ષીય બેઠકમાં હાજર રહેશે.

આ પણ વાંચો : કોણ છે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસ, જેઓ બની શકે છે બાંગ્લાદેશના વચગાળાના વડાપ્રધાન

દેખાવો પાછળ BNPનો હાથ : અવામી લીગ

બાંગ્લાદેશમાં સત્તાપરિવર્તન પહેલાં શાસન કરી રહેલી અવામી લીગ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે દેશવ્યાપી હિંસક દેખાવ પાછળ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)નો હાથ છે. અવામી લીગના મતે, આરક્ષણ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી પણ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ દર્શાવે છે કે દેખાવો પાછળ વાસ્તવમાં વિદ્યાર્થીઓ નથી, પરંતુ દેશની મુખ્ય વિપક્ષી રાજકીય પાર્ટી - બીએનપી અને પ્રતિબંધિત સંગઠન - જમાત-એ-ઇસ્લામી જવાબદાર છે. તેમનો ઉદ્દેશ્ય કોઈપણ રીતે દેશમાં સત્તા મેળવવાનો છે. વહીવટીતંત્ર પણ સતત વિદ્યાર્થી શાખાઓ પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવી રહ્યું છે.

 બાંગ્લાદેશ સાથેની ભારતીય સરહદ સુરક્ષિત : પશ્ચિમ બંગાળના રાજ્યપાલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી. વી. આનંદ બોઝે જણાવ્યું હતું કે, 'બાંગ્લાદેશમાં અશાંતિના પગલે ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે પડોશી દેશ સાથેની ભારતીય સરહદ સુરક્ષિત છે. લોકોએ કોઈપણ અફવા પર ધ્યાન ન આપવું જોઈએ.' આ ઉપરાંત રાજ્યપાલે એક 'મોનિટરિંગ કમિટી'ની પણ રચના કરી છે, જે લોકોને સાચી માહિતી તેમજ અફવા અંગેની જાણકારી ચોવીસ કલાક પહોંચાડતા રહેશે. બોઝે વધુમાં કહ્યું કે 'અફવા ફેલાવનારા અને ભ્રામક માહિતી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.'

શેખ હસીનાએ હજુ ભારત છોડ્યું નથી, બાંગ્લાદેશના પૂર્વ PMના વિમાનને લઈને આવી મોટી અપડેટ 2 - image


Google NewsGoogle News