બાંગ્લાદેશના વડાંપ્રધાને પાકિસ્તાન સાથે તુલના કરતાં માહોલ બગડ્યો, હિંસક દેખાવોમાં 133 મોત

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
Bangladesh Reservation Protests


Bangladesh Reservation Protests: બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત સિસ્ટમ નાબૂદ કરવાની માંગ લઈને વિદ્યાર્થીઓ દ્વારા દેખાવ કરવામાં આવી રહ્યો છે. દેશભરમાં શરૂ થયેલા આ હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 133 લોકોના મોત થયા છે. બાંગ્લાદેશની સરકારે ચિંતાજનક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રિત કરવા માટે દેશવ્યાપી કર્ફ્યૂ લાદી દીધો છે. આ ઉપરાંત વડાંપ્રધાન શેખ હસીનાએ 1971ના સ્વતંત્રતા યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને ટેકો આપનારા ‘રઝાકરો’ સાથે પ્રદર્શનકારીઓની તુલના કરતા માહોલ બગડ્યો હતો. વાત એમ છે કે, 1971ના યુદ્ધમાં રઝાકરો બાંગ્લાદેશનું નહીં પણ પાકિસ્તાનના સમર્થક હતા. પાકિસ્તાને જ એ આંદોલન ડામી દેવા રઝાકરોની સેના ઊભી કરી હતી. 

બાંગ્લાદેશમાં સ્થિતિ નિયંત્રણની બહાર

બાંગ્લાદેશમાં સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ છે. પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘણી જગ્યાએ અથડામણ થઈ છે. આ વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 133 લોકોના મોત થયા છે અને 3000થી વધુ લોકો ઘાયલ થયા છે. રસ્તાઓ પર વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ બસો અને ખાનગી વાહનોને આગ ચાંપી રહ્યા છે. પોલીસ અને સુરક્ષા દળો સાથેની અથડામણમાં અત્યાર સુધીમાં 2500થી વધુ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે. દેશમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટ આજે વિવાદાસ્પદ અનામત સિસ્ટમ પર ચુકાદો આપી શકે છે.

આ પણ વાંચો: કુવૈતમાં ફરી અગ્નિકાંડના શિકાર થયા 4 ભારતીયો, રજા માણીને આવ્યા જ હતા અને જીવતા ભૂંજાયા

ભારતના અનેક વિદ્યાર્થીઓ પરત ફર્યા

વિદ્યાર્થીઓએ નરસિંગડી જિલ્લાની જેલ પર હુમલો કરીને કેદીઓને આઝાદ કરી દીધા છે. એક પોલીસકર્મીએ જણાવ્યું કે, 'અનેક કેદીઓ મુક્ત થઈ ગયા છે. ભારત પણ આ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.' વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે બાંગ્લાદેશમાં લગભગ 15,000 ભારતીયો રહે છે, જેઓ સુરક્ષિત છે. 778 ભારતીય વિદ્યાર્થીઓ બંદરો દ્વારા ભારત પરત ફર્યા છે. 200 વિદ્યાર્થીઓ વિમાન દ્વારા પરત ફર્યા છે. બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનર 4000 વિદ્યાર્થીઓના સંપર્કમાં છે. ભૂટાન અને નેપાળના વિદ્યાર્થીઓને પણ ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. 

આ કારણોસર થઈ રહ્યો વિરોધ પ્રદર્શન

પ્રદર્શનકારીઓ 1971માં મુક્તિ સંગ્રામમાં ભાગ લેનારાઓના પરિવારના સભ્યો માટે 30% અનામત નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે. મુખ્ય વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું છે. બીજી તરફ શેખ હસીનાની પાર્ટીએ તેમના પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.

બાંગ્લાદેશના વડાંપ્રધાને પાકિસ્તાન સાથે તુલના કરતાં માહોલ બગડ્યો, હિંસક દેખાવોમાં 133 મોત 2 - image


Google NewsGoogle News