અઝરબૈજાને નાગોર્નો કારખાબ વિસ્તાર પર નિયંત્રણ મેળવ્યુ, આર્મેનિયાના હજારો લોકોનુ પલાયન
Image Source: Twitter
ઈસ્તંબુલ, તા. 26 સપ્ટેમ્બર 2023
અઝરબૈજાનની સેનાએ આર્મેનિયાના નાગોર્નો કારખાબ વિસ્તાર પર નિયંત્રણ મેળવ્યા બાદ અહીંથી હજારો આર્મેનિયન નાગરિકો પલાયન કરવા માટે મજબૂર બન્યા છે.
બંને દેશો વચ્ચે ચાલી રહેલા ટકરાવમાં તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને ખુલ્લેઆમ અઝરબૈજાનનુ સમર્થન કર્યુ છે અને તેઓ આ દેશની મુલાકાતે પણ જવાના છે. અઝરબૈજાનની સેનાએ ગયા સપ્તાહે કરેલા આક્રમણમાં આર્મેનિયાની સેના 24 કલાક પણ ટકી શકી નહોતી અને નાગોર્નો કારખાબ વિસ્તારમાંથી તેને પીછેહઠ કરવી પડી હતી. હવે અઝરબૈજાનની સેનાના ડરથી આ વિસ્તારમાં રહેતા હજારો આર્મેનિયન નાગરિકો પણ ઉચાળા ભરી રહ્યા છે.
અઝરબૈજાનનુ કહેવુ છે કે, નાગોર્નો કારખાબ વિસ્તારમા છેલ્લા ત્રણ દાયકાથી ચાલતા ભાગલાવાદી લોકોના શાસનનો અંત આવ્યો છે. અમે આ વિસ્તારમાં રહેતા મૂળ આર્મેનિયાના લોકોના અધિકારોનુ સન્માન કરીશુ અને 10 મહિનાની નાકાબંધી પછી આ વિસ્તારમાં ફરી સપ્લાય શરુ કરીશું. જોકે સ્થાનિક લોકોને અઝરબૈજાના પર વિશ્વાસ નથી.તેમને ડર છે કે, અઝરબૈજાનની સેના અમારી સાથે બદલો લેશે અને તેના કારણે લોકોનુ પલાયન શરુ થયુ છે.
એક સમયે આ બંને દેશો સોવિયત સામ્રાજ્યનો હિસ્સો હતો. 1991માં સોવિયેત રશિયા વિખેરાઈ ગયા બાદ 15 નવા દેશો બન્યા હતા. જેમા અઝરબૈજાન અને આર્મેનિયાનો સમાવેશ થતો હતો. આ બંને દેશો વચ્ચે નાગોર્નો કારખાબ વિસ્તાર માટે છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.