લગ્ન કરવા પાકિસ્તાન જતી રહેલી અંજૂ બે દિવસમાં ભારત પાછી ફરશે, ધરપકડની શક્યતા
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 28 નવેમ્બર 2023
પાકિસ્તાની નાગરિક નસરુલ્લાહ સાથે લગ્ન કરનાર ભારતની અંજૂ આગામી બે દિવસમાં ભારત પાછી ફરશે.
તેના પતિ નસરુલ્લાહે આ વાતની જાણકારી આપતા કહ્યુ હતુ કે, હું પોતે અંજૂને ભારતીય બોર્ડર સુધી છોડવા માટે જવાનો છું.
પાકિસ્તાનના યુ ટયૂબરને આપેલા ઈન્ટરવ્યૂમાં નસરુલ્લાહએ કહ્યુ હતુ કે, પાકિસ્તાનથી ભારત ગયેલી સીમા હૈદર અને ભારતથી પાકિસ્તાન આવેલી અંજૂની તુલના થઈ શકે તેમ નથી. સીમા ગેરકાયદેસર રીતે ભારત ગઈ છે અને અંજૂ વિઝા લઈને પાકિસ્તાન આવી છે. અંજૂનો તેના પતિ સાથે ઝઘડો ચાલી રહ્યો છે. અંજૂનો પતિ છૂટાછેડાના કાગળો પર સહી કરવાની ના પાડી રહ્યો છે.
નસરુલ્લાહે આગળ કહ્યુ હતુ કે અંજૂ ભારતમાં ખ્રિસ્તી ધર્મ પાળતી હતી.પાકિસ્તાનમાં આવીને તેણે મારા માટે પોતાનો ધર્મ કુરબાન કરી દીધો હતો.હવે તે ફાતિમા બની ચુકી છે. તેને પાકિસ્તાનમાં સતત ભેટ સોગાદો મળી રહી છે. તેને સૌથી મોંઘી ગિફ્ટ તરીકે જમીન મળેલી છે.
તેણે દાવો કર્યો હતો કે, અંજૂ પોતાના બાળકો માટે પાકિસ્તાન જઈ રહી છે. તેના દસ્તાવેજો તૈયાર થઈ ગયા છે. અંજૂ આખુ વર્ષ રહેવા માટે નહોતી આવી. ભારત જઈને અંજૂએ હવે આગળના ભવિષ્યનો નિર્ણય લેવાનો છે. અમે એક બીજાને ચાર વર્ષથી જાણીએ છે. સોશિયલ મીડિયા પર અમે એક બીજાને મળ્યા હતા અને પ્રેમમાં પડ્યા હતા.
જોકે અંજૂ ભારત આવશે તો તેની ધરપકડ થવાની શકયતા છે. કારણકે તેના પૂર્વ પતિ અરવિંદે અંજૂ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવેલી છે. બીજી તરફ અંજૂએ કહ્યુ છે કે, ભારત આવીને હું દરેક આરોપનો જવાબ આપીશ.
પાકિસ્તાનમાં રહી ચુકેલી અંજૂની ભારતની સુ રક્ષા એજન્સીઓ પણ પૂછપરછ કરે તેવી શક્યતા છે.