પહલગામ આતંકી હુમલા અંગે Newyork Times ની હેડલાઈન વિવાદમાં, અમેરિકન સરકારે સુધારી
New York Times over Pahalgam Attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સ (NYT) વિવાદમાં ફસાઈ ગયું છે. અખબારે તેના એક અહેવાલમાં આ હુમલા માટે જવાબદાર આતંકવાદીઓ માટે 'મિલિટન્ટ' એટલે કે ઉગ્રવાદી શબ્દનો ઉપયોગ કર્યો હતો.
જેના કારણે યુએસ સાંસદ સમિતિ દ્વારા તેની આકરી ટીકા કરવામાં આવી હતી. આ સાથે જ સાંસદ સમિતિએ NYT પર 'ગનમેન' અથવા 'ઉગ્રવાદીઓ' જેવા શબ્દો વાપરીને પહલગામ હુમાલાની ગંભીરતાને ઓછી આંકાવાનો આરોપ લગાવ્યો છે.
ધ ન્યૂ યોર્ક ટાઇમ્સે તેના અહેવાલમાં લખ્યું...
દક્ષિણ કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલામાં 28 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આ હુમલા અંગે, ન્યૂ યોર્ક ટાઇમ્સે તેની હેડલાઇનમાં લખ્યું, 'કાશ્મીરમાં ઉગ્રવાદીઓ દ્વારા ઓછામાં ઓછા 28 પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી.'
અખબારે વધુમાં અહેવાલ આપ્યો છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'આ ગોળીબારને 'આતંકવાદી હુમલો' ગણાવ્યો હતો અને ગુનેગારોને ન્યાય અપાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.'
સમિતિએ હેડલાઇનમાં આ કામ કર્યું
સાંસદ સમિતિએ X પર પોસ્ટ કરીને પહલગામ ઘટના પર અખબારની હેદ્લાઈનમાં વાપરવામાં આવેલા શબ્દોની આલોચના કરી હતી. તેમજ આ સમાચારને શેર કરતા લખ્યું હતું કે, 'ન્યૂ યોર્ક ટાઇમ્સ, અમે તમારી હેડલાઇન સુધારી છે. આ સ્પષ્ટપણે આતંકવાદી હુમલો હતો. ભારત હોય કે ઇઝરાયલમાં, આતંકવાદની વાત આવે ત્યારે ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ વાસ્તવિકતાથી ઘણું દૂર છે.'
ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલા પર શોક વ્યક્ત કર્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહલગામ આતંકવાદી હુમલા પર ફોન કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેમણે વડા પ્રધાન મોદીને કહ્યું હતું કે, 'આ દુઃખની ઘડીમાં અમે તમારી સાથે છીએ. ઉપરાષ્ટ્રપતિ જે ડી વેન્સે પણ આ હુમલાની નિંદા કરતા કહ્યું કે, 'આતંકવાદ સામેના આ યુદ્ધમાં અમેરિકા ભારતની સાથે છે.'
આ પણ વાંચો: પહલગામ બાદ હવે પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, JUIના લીડર સહિત 3ના મોત
મંગળવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે તેમજ 17 લોકો ઘાયલ થયા છે. આ હુમલો જમ્મુ કાશ્મીરના પહલગામની બૈસરન ઘાટીમાં કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ હિન્દુઓને નિશાન બનાવ્યા હતા.