લાદેન જેવા હાલ થશે પાક. સૈન્ય પ્રમુખના? અમેરિકા ગુસ્સામાં, પહલગામ બાદ પૂર્વ અધિકારીનું મોટું નિવેદન
America on Pahalgam Attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 28 લોકોના મોત બાદ, યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ પેન્ટાગોન અધિકારી અને અમેરિકન એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટિટ્યૂટ(AEI)ના સિનિયર ફેલો માઈકલ રુબિને પાકિસ્તાન વિશે ખૂબ જ કઠોર નિવેદન આપ્યું છે. તેમણે અમેરિકા પાસે પાકિસ્તાનને 'આતંકવાદ પ્રાયોજક દેશ' અને પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને આતંકવાદી જાહેર કરવાની માંગ કરી છે.
આસીમ મુનીરની સરખામણી ઓસામા બિન લાદેન સાથે કરી
માઈકલ રુબિને કહ્યું, 'ઓસામા બિન લાદેન અને અસીમ મુનીર વચ્ચે એકમાત્ર તફાવત એ છે કે ઓસામા એક ગુફામાં રહેતો હતો અને અસીમ મુનીર એક મહેલમાં રહેતો હતો. બંનેના ઇરાદા સમાન છે અને પરિણામ પણ સમાન હોવું જોઈએ.'
આ મામલે તેમણે વધુમાં કહ્યું કે, 'પાકિસ્તાનને હવે નિર્દોષ તરીકે દર્શાવી શકાય નહીં. તમે ડુક્કર પર લિપસ્ટિક લગાવી શકો છો, પણ તે ડુક્કર જ રહેશે. તમે એવો ડોળ કરી શકો છો કે પાકિસ્તાન આતંકવાદીઓને ટેકો આપતો દેશ નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે તે આતંકવાદનું આશ્રયદાતા છે.'
હમાસના હુમલા સાથે પણ કરી સરખામણી
રુબિને પહલગામ હુમલાની સરખામણી 7 ઑક્ટોબર, 2023ના રોજ ઇઝરાયલ પર હમાસના હુમલા સાથે કરી. તેમણે કહ્યું, 'જેમ હમાસે શાંતિની વાત કરતાં યહૂદીઓને નિશાન બનાવ્યા, તેવી જ રીતે પાકિસ્તાને મધ્યમ વર્ગના હિન્દુઓ પર હુમલો કર્યો. બંને હુમલા પ્રવાસીઓ અને સામાન્ય નાગરિકો સામે હતા. હવે ભારતે પણ ઇઝરાયલની જેમ જ કરવું જોઈએ. સમય આવી ગયો છે કે ભારત પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI પરનો નિયંત્રણ ખતમ કરે, તેને સત્તાવાર રીતે આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવે અને ભારતના સાથી દેશોએ પણ આ જ પગલું ભરવું જોઈએ.'
આ પણ વાંચો: પાકિસ્તાન પોતાના જ પગે કૂહાડી મારશે? શિમલા કરાર રદ કરવાથી થશે મોટું નુકસાન
પાકિસ્તાની સેના પ્રમુખના વિવાદાસ્પદ નિવેદનને હુમલાનું કારણ ગણાવવામાં આવ્યું
રુબિને દાવો કર્યો હતો કે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરના તાજેતરના નિવેદનોએ હુમલાને ઉશ્કેર્યો હતો. તેમણે કહ્યું, 'મુનીરે કહ્યું હતું કે કાશ્મીર પાકિસ્તાનની 'ગળાની નસ' છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે તેમણે આ હુમલા માટે લીલી ઝંડી આપી દીધી હતી. હવે ભારતે પાકિસ્તાનની 'ગળાની નસ' કાપી નાખવી જોઈએ.'
રુબિને જણાવ્યું હતું કે પ્રારંભિક ગુપ્ત માહિતી દર્શાવે છે કે આ હુમલા પાછળ પાકિસ્તાન અને તેની ગુપ્તચર સંસ્થા, ISIનો હાથ હતો. 'ભલે તે ભૂગોળ હોય, ભૂતકાળની ઘટનાઓ હોય કે આતંકવાદી નેટવર્કની વિચારધારા હોય, દરેક સંકેત પાકિસ્તાન તરફ ઇશારો કરે છે. આ કોઈ સંયોગ નથી.'
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિની ભારત મુલાકાતે હોવાથી હુમલાનો સમય આ પસંદ કર્યો
રુબિને હુમલાના સમય પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આ હુમલો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની ભારત મુલાકાત પરથી ધ્યાન હટાવવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ હોઈ શકે છે. તેમણે યાદ અપાવ્યું કે જ્યારે 2000માં તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન ભારતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે પણ આતંકવાદી હુમલો થયો હતો.