પાકિસ્તાનમાં ગેરકાયદેસર રહેતા અફઘાનીઓને 31 ઓક્ટોબર સુધીમાં દેશ છોડવા આદેશ, 17 લાખ લોકોને થશે અસર
image : Twitter
ઈસ્લામાબાદ,તા.7 ઓક્ટોબર 2023,શનિવાર
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે માન્ય દસ્તાવેજો વગર ગેરકાયદેસર રીતે પાકિસ્તાનમાં રહેતા અફઘાન લોકોને 31 ઓક્ટોબર પહેલા સ્વેચ્છાએ દેશ છોડી દેવા માટે અલ્ટીમેટમ આપી દીધુ છે.
મળતી વિગતો પ્રમાણે પાકિસ્તાને હવે પાકિસ્તાનમાં રહેતા 11 લાખ નહીં બલ્કે 17 લાખ અફઘાન શરણાર્થીઓને દેશ નિકાલ કરવાનુ નક્કી કર્યુ છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ટકરાવ બાદ હવે પાકિસ્તાને પોતાના દેશમાં રહેતા અફઘાન નાગરિકોને દેશમાંથી રવાના કરવા માટે કવાયત શરૂ કરી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા મુમતાઝ બલોચે કહ્યુ હતુ કે, અમે છેલ્લા ચાર દાયકાથી અફઘાન શરણાર્થીઓને ઉદારતા પૂર્વક પાકિસ્તાનમાં રહેવા દીધા છે. સોવિયેત રશિયાએ અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યુ ત્યારે લાખો લોકો અફઘાનિસ્તાન છોડીને આવ્યા હતા. પાકિસ્તાનમાં જે અફઘાન લોકોનુ શરણાર્થી તરીકે રજિસ્ટ્રેશન થયેલુ છે તેવા 14 લાખ લોકોને ચિંતા કરવાની જરૂર નથી.
તેમણે કહ્યુ હતુ કે, અમે એવા લોકોને દેશની બહાર કાઢવા માંગીએ છે જેઓ ગેરકાયદેસર રીતે દેશમાં રહી રહ્યા છે. એ પછી તેઓ અફઘાનિસ્તાનના હોય કે પછી અન્ય કોઈ દેશના. પાકિસ્તાનના નિવેદનને ખોટી રીતે અફઘાન શરણાર્થીઓ સાથે જોડી દેવામાં આવ્યુ છે.