નેપાળના આ શહેરમાં કોમી તોફાનો, હિંસા અને પથ્થમારા બાદ કરફ્યૂ નાંખવો પડ્યો
image : twitter
કાઠમંડૂ,તા.4 ઓક્ટોબર 2023,બુધવાર
નેપાળના નેપાળગંજ વિસ્તારમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા બાદ હવે કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.
નેપાળગંજના મુખ્ય જિલ્લા અધિકારી બિપિન આચાર્યના કહેવા અનુસાર આમ લોકોની સુરક્ષા માટે કરફ્યુ લગાવવામાં આવ્યો છે. લોકોના ભેગા થવા પર પણ પ્રતિબંધ મુકાયો છે.
નેપાળગંજ વિસ્તાર ભારતની સીમાને અડીને આવેલો છે અને તેના પગલે યુપીમાં પણ સરહદી વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયુ છે. નેપાળના અખબારી અહેવાલો અનુસાર છેલ્લા કેટલાક મહિનામાં નેપાળની અંદર કોમી તોફાનીની ઘટનાઓ વધી છે અને તેના કારણે વારંવાર કરફ્યૂ નાંખવો પડી રહ્યો છે. હિન્દુ મુસ્લિમો વચ્ચે વધી રહેલા ખટરાગના કારણે સુરક્ષા એજન્સીઓની ટેન્શન વધી છે. એવુ કહેવાય છે કે, બીફ ખાવાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયલ થયો હતો અને તેના કારણે તોફાનો ફાટી નીકળ્યા હતા.
એ પછી કોશી પ્રાંતમાંથી લોકોને ભેગા કરીને ગૌરક્ષા માટે એક રેલી કાઢવામાં આવી હતી. આ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી અને પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. જોકે અત્યાર સુધી કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી.
આ પહેલા મલંગવા અને સરલાહી વિસ્તારમાં ભગવાન ગણેશજીના વિસર્જન દરમિયાન પણ કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાં એક યુવાન છુરાબાજીનો પણ ભોગ બન્યો હતો. આ ઘટના બાદ દુકાનો બંધ કરાવવા માટે પણ કોશિશ થઈ હતી.