કેનેડામાં વિમાન ક્રેશ થતા બે ભારતીય પાયલટ સહિત 3નાં મોત
- કેનેડાના બ્રિટિશ કોલમ્બિયામાં ઘટના
- ક્રેશમાં માર્યા ગયેલા બન્ને પાયલટ મુંબઇના રહેવાસી, કેનેડા પોલીસે તપાસ શરૂ કરી
ઓટાવા : કેનેડામાં એક વિમાન દુર્ઘટનામાં તાલિમ લઇ રહેલા બે ભારતીય પાયલટના મોત નિપજ્યા હતા. પાયલટ અભય ગડરૂ અને યશ વિજય રામુગડે મુંબઇના રહેવાસી હતા. આ વિમાન દુર્ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા છે. કેનેડા પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. કેનેડાના બ્રિટિશ કોલમ્બિયા સ્થિત ચિલિવોકમાં ડબલ એન્જિન વાળુ એક નાનુ વિમાન ક્રેશ થઇ ગયું હતું, જે દરમિયાન ત્રણ લોકો માર્યા ગયા હતા. વિમાનમાં ત્રણ લોકો સવાર હતા જે તમામના મોત નિપજ્યા છે. એરપોર્ટની પાસે જ હોટેલની પાછળ આ વિમાન ક્રેશ થઇ ગયું હતું.
જોકે આ અકસ્માતમાં અન્ય કોઇ વ્યક્તિ ઘાયલ થઇ હોવાના અહેવાલો નથી. બ્રિટિશ કોલમ્બિયા ઇમર્જન્સી સ્વાસ્થ સેવા વિભાગે જણાવ્યું હતું કે અકસ્માત સ્થળે પાંચ એમ્બ્યૂલંસને મોકલવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાની હાલ તપાસ ચાલી રહી છે. જોકે અકસ્માત પાછળનું ચોક્કસ કારણ હજુસુધી જાણી શકાયું નથી. જે બે ભારતીય પાયલટ માર્યા ગયા છે તેઓ મૂળ મુંબઇના રહેવાસી છે.