VIDEO: બાંગ્લાદેશમાં ફરી હિંસક બન્યું આંદોલન, 91 લોકોના મોત, ઈન્ટરનેટ બંધ, કર્ફ્યૂ લાગુ

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
VIDEO: બાંગ્લાદેશમાં ફરી હિંસક બન્યું આંદોલન, 91 લોકોના મોત, ઈન્ટરનેટ બંધ, કર્ફ્યૂ લાગુ 1 - image


Bangladesh Violence : ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં આજે (4 ઓગસ્ટ) શરુ થયેલી હિંસા વધુ ઘાતક બની છે. મીડિયા અહેવાલો મુજબ હિંસા ભડક્યા બાદ 91થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહીં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ, સત્તાધારી પક્ષના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનાઓ બાદ બાંગ્લાદેશ સરકારે દેશભરમાં કર્ફ્યૂ લાગી દીધો છે. આ ઉપરાંત ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દીધી છે.

પોલીસે ટીયર ગેસના સેલ અને સ્ટન ગ્રેનેડનો ઉપયોગ કર્યો

વડાપ્રધાન શેખ હસીના (PM Sheikh Hasina)ના રાજીનામાની માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓ ખડેદવા માટે પોલીસે ટીયર ગેસના સેલ અને સ્ટન ગ્રેનેડનો ઉપયોગ કર્યો છે. બીજીતરફ સરકારે આજે સાંજે છ વાગ્યાથી દેશભરમાં અનિશ્ચિતકાળનો કર્ફ્યૂ જાહેર કર્યો છે. ગત મહિને થયેલા વિરોધ પ્રદર્શન બાદ સરકારે પ્રથમવાર કર્ફ્યૂ લાદ્યો છે.

દેશભરમાં ઓછામાં ઓછા 200ના મોત

બાંગ્લાદેશમાં છેલ્લા એક મહિનાથી વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ સરકારી નોકરીઓમાં કોટા સિસ્ટમને બંધ કરવાની માંગ કરી રહ્યા છે. દેશમાં એક મહિના પહેલા પણ હિંસા ભડકી હતી, ત્યારે એક મહિનાથી ચાલી રહેલા આ આંદોલનમાં અત્યાર સુધીમાં દેશમાં ઓછામાં ઓછા 200 લોકોના મોત થયા છે. મળતા અહેવાલો મુજબ પ્રદર્શનકારીઓ રાજધાની ઢાકામાં વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે.

મુન્શીગંજ, રંગપુર, પબનામાં હિંસા

મુન્શીગંજમાં દેખાવકારો અને અવામી લીગના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થતાં બે લોકોના મોત અને 30 ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે આવી સ્થિતિ રંગપુર થઈ છે, જ્યાં ચાર અવામી લીગના લોકોના મોત અને 100 ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે જણાવ્યું કે, રવિવારે પબનામાં પ્રદર્શનકારીઓ અને કાર્યકરો વચ્ચેની અથડામણ થયા બાદ ત્રણ વિદ્યાર્થીઓને ગોળી વાગી છે અને 50ને ઈજા થઈ છે.

બાંગ્લાદેશમાં કેમ વિરોધ ?

જુલાઈની શરૂઆતમાં ફાટી નીકળેલ આ હિંસા 2018ના એક અધ્યાદેશને બદલવા સંબંધિત છે. જૂન, 2024માં બાંગ્લાદેશની સુપ્રિમ કોર્ટે બાંગ્લાદેશની આઝાદીના 1971ના યુદ્ધના લડવૈયાઓના વારસદારોને 30 ટકા અનામત યોગ્ય ઠેરવી હતી અને 2018ના રીફોર્મને ગેરલાયક ઠેરવ્યો હતો. આ સાથે બાંગ્લાદેશની જોબ ક્વોટા સિસ્ટમ સામે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો વિરોધ શરૂ થયો અને વિદ્યાર્થીઓના મતે આ અયોગ્ય અને જૂની પ્રથા છે તથા અપ્રમાણસર લાભ આપે છે.

આંદોલનમાં 150 લોકોના મોત થયાનો વડાપ્રધાનો સ્વિકાર

બાંગ્લાદેશની હસીના સરકારે સોમવારે સત્તાવાર રીતે પ્રથમ વખત સ્વીકાર્યું છે કે, ક્વોટા સિસ્ટમ વિરૂદ્ધ વિદ્યાર્થીઓના આંદોલનને કારણે દેશભરમાં 150 લોકો માર્યા ગયા છે. જોકે બિનસત્તાવાર મૃત્યુઆંક 200 કરતા ઘણો વધારે છે, જેમાંથી 110થી વધુ કિશોર હતા. આ સિવાય અનેક લોકો ઘાયલ પણ થયા છે.


Google NewsGoogle News