અખિલેશનો દાવઃ 100 સભ્યો લાવો અને યુપીમાં સરકાર રચો

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
અખિલેશનો દાવઃ 100 સભ્યો લાવો અને યુપીમાં સરકાર રચો 1 - image


- યોગીના વિરોધીઓને લલચાવતી ઓફર

- ઇનસાઇડ સ્ટોરી

- ભાજપ તૂટે એવું શક્ય નથી પરંતુ રાજકારણમાં સત્તાનો નશો દરેક ઉંધમાં પણ કરતા હોય છે 

હારનો કોઇ મિત્ર નથી હોતો. ઉત્તર પ્રેદશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે તેમજ ભાજપમાં રહેલા મતભેદો બહાર આવ્યા છે. ભાજપ હાર પચાવી શક્યું નથી. ઉત્તર પ્રદેશમાં દિલ્હીમાં બેઠેલા ભાજપના નેતાઓ યોગીને કદ પ્રમાણે વેતરવાના પ્રયાસમાં આખા ઉત્તર પ્રદેશના સંગઠનને મુસીબતમાં મુકી દીધું છે. 

સો સભ્યોને લાવો અને ઉત્તર પ્રદેશના કિંગ બની જાવ તેવી ઓફર અખિલેશ યાદવે મુકીને ઉત્તર પ્રદેશના રાજકારણમાં તોફાન ઉભું કર્યું છે.   પહેલીનજરે ભાજપ તૂટે એવું શક્ય નથી પરંતુ રાજકારણમાં સત્તાનો નશો દરેક ઉંધમાં પણ કરતા હોય છે. 

બળવાખોરીનો સ્વભાવ દરેક રાજકારણીમાં હોય છે. ઉત્તર પ્રેદશમાં યોગીનો પ્રભાવ આગળ અન્ય નેતાઓના નામ દબાઇ ગયા છે. યોગી એટલે ઉત્તરપ્રદેશ અને ઉત્તરપ્રદેશ એટલે યોગી એમ કહેવામાં કશું ખોટું નથી. લોકસભાના જંગમાં ભાજપને હંફાવનાર અખિલેશ યાદવનો હવે પછીનો પ્લાન ઉત્તર પ્રદેશ સર કરવાનો છે. તે માટે ભાજપની પકડ ઓછી કરવી જરૂરી છે. 

ઉત્તર પ્રદેશમાં ભાજપ તૂટે તો જ અખિલેશ યાદવને ચાન્સ મળી શકે એમ છે. એટલેજ ૧૦૦ સભ્યો લઇને આવવાની મોન્સુન ઓફર મુકી છે. ભાજપના આંતરિક ડખા સપાટી પર લાવવા અખિલેશે ખાસ ટીમ ઉભી કરી હોય એવું લાગે છે. સમાજવાદી પક્ષેતો બળવાખોરોમાં કોને ગૃહ ખાતું સોંપવું અને કોને નાણાપ્રધાન બનાવવા તેના નામેા પણ જાહેર કરી દીધા છે.

૨૦૨૨માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઇ ત્યારે  સમાજવાદી પક્ષે ૧૧૧ બેઠકો જીતી હતી. જો ૧૦૦ બળવાખોરો અલગ પક્ષ બનાવીને સરકાર રચવા માંગે તો અમે તેમને ૧૧૧ બેઠકો સાથે ટેકો આપીને આસાનીથી સરકાર રચી શકીશું.

કહે છે કે ઉત્તર પ્રદેશની ભાજપ સરકારમાં નારાજગીનું મોજું છે. નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્યને મુખ્યપ્રધાન બનવાનો અભરખો છે. તેમની સાથે ૧૦૦ સભ્યો નથી પરંતુ હોદ્દાની અને સત્તાની લાલચ ભાંગફોડ કરાવી શકે છે. અફવા એવી પણ છે કે યોગી આદિત્યાનાથને કેન્દ્રમાં લઇ જઇને કેશવ પ્રસાદને મુખ્યપ્રધાન બનાવી શકાય છે  પરંતુ આ બધી વાતો હજુ હવામાં છે. 

યોગી આદિત્યનાથને દેશના સૌથી મોટા રાજ્યમાંથી ખસેડવાએ દેશના હિન્દુઓને નારાજ કરવા સમાન છે. યોગી આદિત્યનાથને મુખ્યપ્રધાન બનાવવામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો સિંહ ફાળો છે. યોગીને બદલવા એ સંઘની નારાજગી વહેારી લેવા સમાન છે.

વિવાદના મૂળમાં ઉત્તર પ્રદેશમાં લોકસભાના જંગમાં થયેલા ધબડકો છે. જે લોકો હાર્યા છે તેમણે યોગી આદિત્યનાથની કામ કરવાની સ્ટાઇલની ટીકા કરી હતી. ઉત્તરપ્રદેશ રાજ્ય સરકારનું ગુપ્તચર ખાતું નિષ્ફળ ગયું હતું. કોંગ્રેસે મહિને ૮,૫૦૦ રૂપિયાની સહાયના ફોર્મ ભરાવ્યા તેની પણ ગુપ્ચતર ખાતાને ખબર પડી નહોતી. બનારસના અને અયોધ્યાના લોકો શા માટે નારાજ છે તેની પણ કોઇ તપાસ યોગી સરકારે કરી નહોતી.

યોગી આદિત્યનાથે પણ પોતાની લોબી સક્રીય કરી છે. ભાજપના પ્રમુખ કેશવપ્રસાદ મૌર્યને મળ્યા ત્યારબાદ ભાજપમાં બળવાખોરીની વાત લગભગ દબાઇ ગઇ છે. યોગી નબળા પડતાંજ ઉત્તર પ્રદેશના કેટલાક હિન્દુ વિરોધી તત્વો મેદાનમાં આવી ગયા છે અને મનમાની કરી રહ્યા છે.  


Google NewsGoogle News