સ્ટીરોઈડ આઈ ડ્રોપ્સના લાંબા સમય સુધી ઉપયોગથી ઝામર થવાનું જોખમ, 10 લાખ લોકોએ દૃષ્ટિ ગુમાવી
Steroid Eye Drops Glaucoma Risk: ડૉક્ટરની સલાહ વિના જાતે જ લાંબા સમય સુધી સ્ટીરોઈડ આઇ ડ્રોપ્સનો ઉપયોગ ઝામરને નોતરી શકે છે. હાલ સમગ્ર દેશમાં 1.19 કરોડથી વધુ લોકો ઝામર એટલે કે ગ્લુકોમાની સમસ્યા ધરાવે છે અને વધુ ચિંતાજનક વાત એ છે કે 10થી વધુને ઝામરથી દ્રષ્ટિની ઝાંખપ આવેલી છે. હાલ 15 માર્ચ સુધી ‘વર્લ્ડ ગ્લુકોમા વીક’ ઉજવાઇ રહ્યું છે ત્યારે ઝામરના વધતા કેસ ચિંતાનો વિષય બની રહ્યા છે.
ભારતમાં દ્રષ્ટિ ગુમાવવા પાછળ મોતિયા, રીફ્રેક્ટિવ એરર બાદ ઝામર ત્રીજા ક્રમનું સૌથી મોટું કારણ છે. સમયસર નિદાન અને યોગ્ય સારવાર દ્વારા ઝામરથી અંધત્વ અટકાવી શકાય છે. ડૉક્ટરોના મતે ઝામરના શરૂઆતના તબક્કામાં દર્દીને કોઈ તકલીફ કે લક્ષણો હોતા નથી અને જેના કારણે ઘણા લોકો તેની સારવારને ગણકારતા નથી.
પરંતુ ઝામરથી એકવાર દ્રષ્ટિને નુકસાન પહોંચે તે પછી દ્રષ્ટિ ફરી આવી શકતી નથી. મોટી ઉંમરની સાથે નાના બાળકોમાં પણ ઝામરની સમસ્યા સર્જાઇ શકે છે અને તે કોન્જેનિટલ ગ્લુકોમા તરીકે ઓળખાય છે.
ડૉક્ટરોના મતે જે વ્યક્તિને ડાયાબિટિસ છે તેમને આ રોગ થવાની શક્યતા વધારે રહેલી છે. આ રોગ જિનેટિક પણ છે એટલે કે જે બાળકોનાં માતા-પિતાને આ રોગ હોય તે બાળકોને ઝામર થવાની શક્યતા સામાન્ય બાળકો કરતાં આઠગણી વધારે હોય છે. જ્યારે પણ કોઈ વ્યક્તિને ઝામર છે એવું નિદાન થાય છે ત્યારે પહેલું સૂચન તેને એ કરવામાં આવે છે કે તેમના પરિવારમાં દૂર-દૂર સુધી બધાને ફરજિયાતપણે ઝામરની ટેસ્ટ કરાવડાવો.
જિનેટિક રોગ હોવાને કારણે શક્ય છે કે એ પરિવારમાં ફેલાયેલો હોય અને એની જાણ કોઈને ન હોય. ઓલ ગુજરાત ઓપ્થેલ્મોજીકલ સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. આશિષ ભોજકે જણાવ્યું કે, વારસાગત ડાયાબિટિસ-બ્લડ પ્રેશર જેવા આનુવંશિક કારણો તેમજ આંખની કોઇપણ પ્રકારે ઈજા થવી સ્ટીરોઇડ ડ્રોપનો વધારે ઉપયોગ પણ ઝામર થવા માટે પરિબળ છે.
ઝામરનાં કોઈ લક્ષણ હોતાં નથી, પરંતુ અમુક દર્દીમાં આંખ લાલ થવી, આંખમાંથી પાણી પડવું, આંખમાં દુખાવો થાય, માથું દુખવું, ચશ્માના નંબર વારંવાર બદલાય, પ્રકાશની આજુબાજુ કુંડાળા દેખાય વગેરે જેવા ચિન્હો ઝામરનાં છે.
મુખ્ય કારણ
પરિવારમાં કોઇને ઝામર હોવું, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, માઇનસ કે પ્લસમાં વધારે પડતાં નંબર, વધતી ઉંમર, ડાયાબિટિસ, આંખમાં કોઇ ઈજા કે ઓપરેશન કરાવેલું હોય, 45થી વધુ ઉંમર, સ્ટીરોઇડનો ઉપયોગ.
આ પણ વાંચો: ક્યાંક લૂ તો ક્યાંક ભયંકર વરસાદ અને હિમવર્ષાની આગાહી, હવામાન વિભાગનું લેટેસ્ટ એલર્ટ...
લક્ષણો
ઝામરના મોટાભાગે કોઇ લક્ષણ નથી. અમુક દર્દીમાં આંખ લાલ થવી, આંખમાંથી પાણી પડવું, આંખમાં દુઃખાવો થવો, માથું દુઃખવું, ચશ્માના નંબર અવાર-નવાર બદલવા, પ્રકાશની આજુબાજુ કુંડાળા દેખાવવા અને છેલ્લા સ્ટેજમાં અંધત્વ જેવા લક્ષણ જોવા મળે છે.
સારવાર
મેડિકલ, લેસર અને સર્જિકલ એમ 3 સારવારના પ્રકાર છે. મેડિકલ અને લેસર બંને સારવાર નિષ્ફળ જાય ત્યારે સર્જરી સૂચવવામાં આવે છે. ઝામરનો ઇલાજ ન કરાવીએ તો લગભગ 7-8 વર્ષમાં કે વધુમાં 10-12 વર્ષમાં વ્યક્તિને અંધાપો આવી શકે છે.