મહુવામાં અગાસીમાંથી પટકાતા યુવાનનું મોત
- જિલ્લામાં ઉત્તરાયણના પર્વમાં મૃત્યુનો એક અને ઇજાના 2 બનાવ
- ભાવનગરમાં યુવક પિતાને નારી ચોકડી મુકીને બાઇક પર પરત ફરતા હતા ત્યારે ગળામાં પતંગની દોરી ફસાતા ગંભીર ઇજા
આ સમગ્ર બનાવની જાણવા મળતી વિગત અનુસાર ઉતરાયણ પર્વ દરમિયાન પતંગ ની દોરીએ એક યુવાનનું ગળું ચિરી નાખ્યું હતું જ્યારે એક યુવાનનું અગાશી માથી પડી જતાં મોત થયું હતું. જેમાં ધોલેરા પંથકના અને ભાવનગરમાં રહી હીરાની ઓફિસમાં કામ કરતા નિકુલભાઈ જસમતભાઈ પરમાર (ઉં.વ ૧૯ ) ઉતરાયણના દિવસે તેમના પિતાને વતન જવા માટે બાઈક પર નારી ચોકડી મૂકીને પરત આવી રહ્યા હતા ત્યારે બપોરના સુમારે ચિત્રા પ્રેસ કવાર્ટર પાસે હવામાં રહેલી પતંગની દોરી યુવાનના ગળાના ભાગે આવીને ઘસાતા યુવાન લોહીલુહાણ થઈ ગયો હતો અને સ્થળ પર જ પછડાઈ પડયો હતો.દરમિયાનમાં સીટી ટ્રાફિકમાં ફરજ બજાવી રહેલા વાહીદ શાહને જાણ થતા ઇજાગ્રસ્ત યુવકને નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડેલ પરંતુ વધુ સારવારની જરૂર જણાતા ૧૦૮ બોલાવીને સર ટી. હોસ્પિટલ ખસેડયો હતો. જ્યારે મહુવાના નવા કુંભારવાડા ખાતે રહેતા રાજુભાઈ લાલજીભાઈ રાઠોડ ( ઉ.વ ૪૫ ) ઉતરાયણના દિવસે પોતાના ઘરની અગાશી પર હતા ત્યારે અગાસી પરથી અકસ્માતે નીચે પટકાયા હતા.યુવાનને ગંભીર હાલતે મહુવાની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સ્થતિ કથળતા વધુ સારવાર માટે ભાવનગર ની સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. અન્ય એક બનાવમાં શહેરના કુંભારવાડા વિસ્તારમાં ત્રણ વર્ષીય બાળકીને પતંગની દોરીથી ઇજા થયાનું જાણવા મળ્યું હતું.