વિશ્વ કેન્સર દિવસઃ સુરતમાં 20 હજારથી વધુ, સમગ્ર ગુજરાતમાં 80 હજાર દર્દી

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News

A

વિશ્વ કેન્સર દિવસઃ સુરતમાં 20 હજારથી વધુ, સમગ્ર ગુજરાતમાં 80 હજાર દર્દી 1 - image

- 40થી વધુ ઉંમરના દરેક પુરૃષ અને સ્ત્રીએ કેન્સર અંગે સ્ક્રિનીંગ કરાવે તો જલદી નિદાન થવાથી યોગ્ય સારવારથી સાજા થઇ શકાય છે

સુરત,:

 આજના યુગમાં ફાસ્ટ ફૂડ અને જંકફૂડ વધુ ખાવાથી પણ કેન્સર થવાની શક્યતા છે. ઘણા બધા પ્રકારના કેન્સર પૈકી મોઢાના, ગર્ભાશયના મુખના, સ્તન કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે. સુરતમાં અંદાજે ૨૦ હજારથી વધુ કેન્સરના કેસ હોવાનો અંદાજ છે.

નવી સિવિલના કેન્સર સર્જન ડો. સોહમ પટેલે કહ્યુ કે, ભારતમાં દર વર્ષ નવા ૧૫ લાખ વ્યક્તિ કેન્સરની ઝપેટમાં આવે છે. જેમાં ૫૦ ટકાના મોતની શક્યતા છે. સુરતમાં ૨૦ હજારથી વધુ દર્દી સહિત ગુજરાતમાં અંદાજે ૭૦થી ૮૦ હજાર દર્દીઓ છે. વિદેશના દેશોની તુલનામાં ભારતમાં કેન્સર અંગે સ્કીનીંગનો અભાવ હોવાથી દર્દીઓને ત્રીજા અને ચોથા સ્ટેજમાં જોવા મળે છે. વિદેશમાં દર્દી પહેલા કે બીજા સ્ટેજમાં સારવાર શરૃ કરાવી દેતા હોવાથી સાજા થાય છે.

 ભરત કેન્સર હોસ્પિટલના કેન્સર રોગના નિષ્ણાત ડો. નિલેશ મહાલેએ જણાવ્યું હતું કે કલોઝ ધ કેસ ગેપના સુત્ર સાથે  આ વર્ષે ૪ ફેબુ્રઓરીએ વિશ્વ કેન્સર દિવસ મનાવાશે. ફાસ્ટફુડ, જંકફુટ, દારુ-સિગારેટનું વધુ સેવ, કસરતનો અભાવ, હવામાં પ્રદૂષણ, વાઇરલ ઇન્ફેકશનને લીધે કેન્સર થઇ શકે છે. તમાકુ, ગુટખા, માવો વધુ ખાવાથી પુરુષોમાં મોઢા અને અન્નનળીના કેન્સરના કેસ વધુ જોવા મળે છે. જ્યારે સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખ, સ્તનના કેન્સરના કેસ વધુ મળે છે. ૪૦થી વધુ ઉંમરના દરેક પુરૃષ અને સ્ત્રીએ કેન્સર અંગે સ્ક્રિનીંગ કરાવવુ જોઇએ. જેથી બિમારીની ઝડપથી જાણ થાય તો સમસસર સારવારથી સાજા થઇ શકાય છે.

નવી સિવિલના આરએમઓ ડો.કેતન નાયકે જણાવ્યુંહતું કે, સિવિલમાં એક વર્ષમાં ૧૦૦૦ દર્દી સારવાર માટે આવ્યા તે પૈકી ૪૦૦ થી વધુની વિવિધ પ્રકારની સર્જરી કરાઇ હતી. સ્ક્રિનીંગ, નિદાન, જરુરી તપાસ સાથે દર્દીઓને સારવાર મળી રહી છે. સિવિલમાં ઓર્થો એન્કો સર્જન ડો.રાહુલ પરમાર અને ડો.સોહમ પટેલની કોન્ટ્રાકટ પર નિમણૂંક કરાઇ છે.

 - સિવિલ કેમ્પસના લાયન્સ ડિટેકશન સેન્ટરમાં એક વર્ષમાં ચાર હજારથી વધુ દર્દીઓએ સારવાર લીધી

સિવિલ કેમ્પસના લાયન્સ ડિટેકશન સેન્ટરમા મેડીકલ ડાયરેકટર ડો. સંજય નંદેશ્વરે જણાવ્યું હતું કે, ગત વર્ષે ૧૯૫૧ સ્ત્રીઓ અને ૨૧૩૧ પુરૃષો મળી કુલ ૪ હજારથી વધુ  દર્દીઓએ સારવાર લીધી હતી. જેમાં ફેંફસાના, હાકડાં, માથું અને ગળું, જીભ, ગર્ભાશય, મોઢું, પેટ,ઓવરી, સ્તન, સ્વપેટી, અન્નનળી, જઠર, સ્વાદુપિંડ, લીવર, પિતાશય, આંતરડા, કિડની, પ્રોસ્ટેટ અને લોહી સહિતના કેન્સરના દર્દી હતા. સમાજિક રૃઢી, અજ્ઞાાનતા અને બેદારકારીભર્યા વર્તનને પાછળ છોડી પુરતી સજાગતા અને સભાનતા સાથે કેન્સરનો સામનો કરવામાં આવે તો જોખમ ફ્રી જીવન ચોક્કસથી શક્ય છે.

 - કેન્સરના સંભવિત પ્રાથમિક લક્ષણો

 દેખીતી બિમારી વિના સતત વજન ઘટવુ, સતત હિમોગ્લોબિનનું પ્રમાણ ધટવુ અને થાક લાગવો, લાંબા સમયથી શરીરના કોઇ ભાગમાં ચાંદુ કે સોજો કે દુઃખાવો કે ગાંઠ હોવી, શરીરના કોઇ પણ ભાગમાંથી લાંબા સમય સુધી રક્તસ્ત્રોવ થવો, મોઢામાં ચાંદા જોવા મળે છે. આ પ્રકારની તકલીફ હોય તો તરત ડોકટરની સલાહ મુજબ સારવાર કરાવવી જોઇએ.


Google NewsGoogle News