બાજવાની મહિલાનું ડિલીવરી પછી વધુ પડતું લોહી નીકળતા મોત
પરિવારજનો પી.એમ. કરાવવાની ના પાડી મૃતદેહને અંતિમ વિધિ માટે ઘરે લઇ ગયા
વડોદરા,બાજવા વિસ્તારમાં રહેતી મહિલાએ બાળકને જન્મ આપ્યા પછી તેની તબિયત વધારે બગડતા ખાનગી હોસ્પિટલમાંથી સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, બાજવા કરોડિયા રોડ પર ઓમ નગરમાં રહેતા ૨૪ વર્ષના રૃપાબેન શત્રુઘ્ન ગીરીના ૭ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. તેઓને બે સંતાન છે. તેઓ ત્રીજી વખત પ્રેગ્નન્ટ હતા. તેઓને ૩૦ મી તારીખે દુખાવો ઉપડતા બાજવાની જનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૩૧ મી તારીખે રાતે દોઢ વાગ્યે તેઓએ એક બાળકને જન્મ આપ્યો હતો. પ્રસૂતિના થોડા સમય પછી તેઓની તબિયત લથડતા તેઓને રાતે જ સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાતે સાડા આઠ વાગ્યે મહિલાનું મોત થયું હતું. પરિવારજનોએ પી.એમ. કરાવવાની ના પાડી હતી અને મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ઘરે લઇ આવ્યા હતા. દરમિયાન મહિલાના ભાઇએ પોલીસ કંટ્રોલ રૃમમાં જાણ કરતા જવાહર નગર પોલીસ સ્ટેશનના હે.કો. રમેશભાઇ પરથીભાઇ મહિલાના ઘરે દોડી ગયા હતા. પરિવારજનોને સમજાવી પી.એમ. માટે તૈયાર કર્યા હતા. ત્યારબાદ મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ડોક્ટરે અમને લોહીની જરૃર છે. તેવું કહ્યું હતું. પરંતુ, લોહી વધારે પડતું વહી ગયું હોવાની વાત જણાવી નહતી. મહિલાના મોતનું કારણ જાણવા માટે પોલીસ પી.એમ. રિપોર્ટની રાહ જોઇ રહી છે.