સુરતના સંજય સરાવગીને મળ્યું રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આમંત્રણ, જાણો કોણ છે
અયોધ્યામાં હાલ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે
Surat Businessman Sanjay Saraogi: ભગવાન શ્રી રામની અયોધ્યા નગરીમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ હવે છેલ્લા તબક્કામાં છે અને આગામી 22મી જાન્યુઆરીએ રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, જેમાં દેશભરમાંથી અનેક હસ્તીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ક્રમમાં અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટે સુરતમાં લક્ષ્મીપતિ સાડીના નામે કપડાનો વ્યવસાય ચલાવતા વેપારી સંજય સરાવગી આ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ કાર્ડ મોકલ્યું છે. આ આમંત્રણ કાર્ડમાં ભગવાન શ્રી રામનું બાળ સ્વરૂપમાં તસવીર છપાયેલી છે.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને રામ મંદિર જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ મહંત મૃત્ય ગોપાલ દાસનું નામ પણ છપાયેલું છે. કાપડના વેપારી સંજય સરાવગીએ કહ્યું કે “તેઓ રામ મંદિર ટ્રસ્ટ તરફથી મળેલા આમંત્રણથી ખૂબ જ ખુશ છે.”
સુરતને દાનવીર કર્ણની ભૂમિ કહેવાય છે
કાપડના વેપારી સંજય સરાવગીએ જણાવ્યું કે, તેમના પૂર્વજોનું કોઈ સારું કામ કર્યું હશે, જેના કારણે તેમને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવાની તક મળી છે. આપણા બધા માટે આ એક શુભ અવસર છે. રામ મંદિરનું ભવ્ય નિર્માણ ચાલી રહ્યું છે. હજુ પણ ક્યાંય પૈસાની જરૂર પડશે તો સુરતની જનતા પૈસા આપશે. સુરતમાં સમાજના તમામ વર્ગના લોકો દાન આપવા તૈયાર છે, કારણ કે સુરતને દાનવીર કર્ણની ભૂમિ કહેવામાં આવે છે.