ફૂટપાથની પહોળાઈ 1.20 મીટર રાખવાના નિર્ણયથી છાણી ગૌરવપથના કામમાં રૂ.2.23 કરોડનો વધારાનો ખર્ચ કરવો પડશે
Vadodara : વડોદરાના છાણી પ્રવેશદ્વારથી છાણી જકાતનાકા સર્કલ સુધીના માર્ગને ગૌરવપથ તરીકે વિકસાવવાનું કામ ચાલુ છે. આ કામ માટે રૂ.20.61 કરોડની અંદાજીત રકમ મુજબ મંજુરી આપવામાં આવી હતી, ટેન્ડર પ્રક્રિયા બાદ મેઇન કોન્ટ્રાક્ટર તરીકે સૌરભ બિલ્ડર્સની પસંદગી કરવામાં આવી હતી. તેમના દ્વારા રૂ.21.40 કરોડના ટેન્ડર રેટ પર કામ મંજૂર થયું હતું, જે મૂળ અંદાજથી 29% વધુ હતું. આ કામ માટે તા.19-12-2023ના રોજ 225 દિવસની મુદત સાથે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.
શરૂઆતમાં છાણી જકાતનાકા સર્કલથી નર્મદા કેનાલ સુધીના માર્ગ પર સર્વિસ ટ્રેક અને ફૂટપાથ જેવા કામો પુરા કરવામાં આવ્યા હતા. પરંતુ, નવા પરિપત્ર મુજબ તમામ ફૂટપાથની પહોળાઈ 1.20 મીટર રાખવાનો નિર્ણય લેવામાં આવતા સ્થળ પરના ડિઝાઇન અને સ્પેસિફિકેશનમાં ફેરફાર કરવો પડ્યો. જેના પરિણામે સર્વિસ ટ્રેકના સ્થાને હવે પેવરબ્લોકના બદલે કાચો-પાકો, કાર્પેટ, એસી/બીસી, લીકવીડ સીલકોટ અને વરસાદી ગટર સહિતના કામ કરવા જરૂરી બન્યા હતા. બદલાવના પગલે કુલ ખર્ચ રૂ.23.63 કરોડ થવાનો અંદાજ છે, જે મંજુર ભાવપત્ર કરતાં રૂ.2.23 કરોડ વધુ છે. ભાવ વધારાની રકમ માટે હાલ સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે. કોન્ટ્રાક્ટર સૌરભ બિલ્ડર્સે વધારાની કામગીરી માટે તા.16-01-2025ના પત્ર દ્વારા સંમતિ આપી દીધી હતી.