વડોદરાના વાઘોડિયા નજીક દેવ ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના ગામોને એલર્ટ રહેવા સૂચના

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
વડોદરાના વાઘોડિયા નજીક દેવ ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના ગામોને એલર્ટ રહેવા સૂચના 1 - image


Vadodara Rain Update : વાઘોડિયા નજીક આવેલા દેવ ડેમમાં સતત પાણીની આવકના કારણે છલકાવાની સ્થિતિ છે અને તે બાબતને ધ્યાને લઈ નદીના કિનારે આવેલા ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ દેવ જળાશયની જળ સપાટી હાલમાં 89.65 મીટર છે. જળાશયનું રૂલ લેવલ જાળવવા આજે સવારે 10 કલાકે જળાશયના બે દરવાજા ગેટ નં. 4 અને 5 જે પોઇન્ટ 20 મીટર ખોલવામાં આવશે. આમ, ડેમમાં પાણીની આવક 1431.23 ક્યુસેક છે. પાણીનો ફ્લો 1364.57 કયુસેક રહેશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોના લોકોને સાવચેત કરવા સાથે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર બીજલ શાહે તાલુકા લાયઝન અધિકારીઓને સ્થિતિ પર નજર રાખી અગમચેતીના તમામ જરૂરી પગલાં લેવા પ્રાંત અધિકારી ડભોઈ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને તલાટીઓએ સૂચના આપી છે. 

દેવ ડેમમાં છોડવામાં આવી રહેલા પાણીના કારણે  પરિણામે વડોદરા જિલ્લાના વાઘોડીયા અને ડભોઈ તાલુકાના 16 ગામોના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નદીઓમાં પાણી ઉફાન ઉપર હોય ત્યારે તેને પાર કરવાનું દુઃસાહસ ના કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. 

દેવ નદીના કાંઠાના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સોનાવીટી, રસસાગર, ગડીત, સોનીપુર, કુબેરપુરા, ઇન્દ્રાલ, બાધરપુરી,વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના બનૈયા, અબ્દુલપુરા, કડાદરા, કરાલી, ગોજાલી, કડાદરાપુરા, વાયદપુર અને વાઘોડીયા તાલુકાના ફલોડ, વેજલપુર, વલવા, ગોરજ, અંબાલી, અંટોલી, ઘોડાદરા, વ્યારા અને ધનખેડા ગામોના નાગરિકોને સતર્ક રહેવા જિલ્લા પ્રશાસન દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આપત્તિના સમયે 1077 નંબર ઉપર સંપર્ક કરી શકાય છે.


Google NewsGoogle News