વ્યાજનું વિષચક્રઃ માતા- પુત્રને ઘરની બહાર કઢાવી મકાન કબજે કરી લીધું
પોરબંદરમાં રોયલ આર્કેડ પાસેના બનાવની પોલીસ ફરિયાદ એક શખ્સે તો 15 લાખ રૂપિયાના 1.41 કરોડ પડાવ્યા છતાં ગામ મુકાવ્યું! 5 વ્યક્તિ સામે ગુનો નોંધાયો
પોરબંદર, : પોરબંદરમાં વ્યાજખોરોએ 15 લાખ રૂપિયાના ચક્રવૃદ્ધિ વ્યાજ પેટે 1 કરોડ 45 લાખ રૂપિયા પડાવી લીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાથી એક પરિવારને ગામ મુકાવું પડયું હતું અને બળજબરીથી તેમનાં મકાનનો કબજો પણ લઈ લેવાતા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
માધવાણી કોલેજ સામે ધનલક્ષ્મી રોડ પર રોયલ આર્કેડ પાસે રહેતા હર્ષાબેન કિશોર વારા નામના 40 વર્ષના મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે કન્સ્ટ્રક્શનનું કામ કરતા તેના પતિ કિશોર ત્રીકમભાઈ વારાને પૈસાની જરૂર પડતા કડિયા પ્લોટમાં રહેતા બાલુભા પોપટભા સોલંકી પાસેથી 20 લાખ રૂપિયા જેવી રકમ ૩ ટકા વ્યાજે લીધી હતી, જે પૈકી પાંચ લાખ વ્યાજ સહિત પરત આપ્યા હતા. ત્યારબાદ કિશોરે વર્ષ 2023 સુધીમાં બાલુભા સોલંકીને કટકે કટકે 15 લાખના વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત એક કરોડ 41 લાખ રૂપિયા જેવી રકમ ચૂકવી દીધી હતી. તેમ છતાં બાલુભા કિશોર પાસે અવારનવાર વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ ગણી એક કરોડ જેટલી રકમ આપવાનું કહેતો હતો તથા ફોન કરીને તથા ઘરે આવીને ગાળો દઈ મારી નાખવાની ધમકી આપતો હતો.
તેને રકમ ચૂકવવા માટે પાંચ વર્ષ પહેલા માધવાણી કોલેજ સામે પરેશ નગરમાં રહેતા દેવા ગરેજા પાસે 20 લાખ રૂપિયા જેવી રકમ 3 ટકા વ્યાજે તથા બોખીરાના ભોજા ગોઢાણીયા પાસે ૩૦ લાખ જેવી રકમ 5 ટકા વ્યાજે લીધી હતી, તે ઉપરાંત સંબંધી કમલેશ ભગવાનજી ભરડવા અને યોગેશ ભગવાનજી ભરડવા તથા વિશાલ વલ્લભભાઈ ભરડવા પાસેથી પચાસેક લાખ રૂપિયા ભેગા કરીને આપ્યા હતા. આ ઈસમો ઊંચા વ્યાજની માગણી કરી ધમકી આપતા હતા તેથી કિશોરભાઈ ત્રીકમભાઈ વાળાએ જુલાઈ 2023માં ઝેરી દવા પીધી હતી. તેમ છતાં બાલુભા પોપટ સોલંકી, દેવા ગરેજા, ભોજા ગોઢાણીયા વગેરે વ્યાજની ઉઘરાણી કરી રહ્યા છે.
એકાદ વર્ષ પહેલા કિશોરના મિત્ર જયપાલસિંહ જાડેજાએ ૬ લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજે આપ્યા પછી આજથી એક મહિના પહેલા જયપાલસિંહ જાડેજા અને તેનો ભત્રીજો યશપાલસિંહ જાડેજા બંને મહિલાના ઘરે આવ્યા હતા અને કહ્યું હતું કે કિશોરને કહેજો કે હું એક મહિના પછી આવીશ, કાં તો મારા પૈસા અથવા મકાન ખાલી કરી દેજો નહિતર કિશોરને જીવતો રહેવા નહીં દઉં. આ બધા લોકોના ત્રાસને કારણે ત્રણ મહિના પહેલા મહિલાના પતિ કિશોર પોરબંદર શહેર છોડીને ગામ મૂકીને બહાર જતા રહ્યા હતા અને ત્યારથી આ મહિલા તેના પુત્ર સાથે એકલી રહેતી હતી.
દરમિયાનમાં પહેલી ઓગસ્ટે હર્ષાબેન અને તેનો 17 વર્ષનો દીકરો પુનિત બંને ઘરે હતા ત્યારે જયપાલસિંહ જાડેજા તથા તેની પત્ની અને ભત્રીજો યશપાલસિંહ વગેરે ઉપરના રૂમમાં પહોંચી ગયા હતા અને ઉંચા આવા જે કહ્યું હતું કે તમારે આ મકાન અમને સોંપવું પડશે, તમે મકાનની બહાર નીકળી જાવ. સામાન બેગમાં પેક કરી પહેરેલે કપડે વર્ષાબેન અને તેનો દીકરો પુનિત ઘરની બહાર નીકળી ગયા હતા અને તેના મકાનની ચાવીઓ જયપાલસિંહે મેળવી લીધી હતી,