વડોદરામાં અત્યાર સુધી શહેરમાં શ્રીજીની 17,798 મૂર્તિઓનું વિસર્જન

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
વડોદરામાં અત્યાર સુધી શહેરમાં શ્રીજીની 17,798 મૂર્તિઓનું વિસર્જન 1 - image


વડોદરા શહેરમાં આવતીકાલે ઇદ એ મિલાદ તથા ત્યારબાદ બીજા દિવસે ગણેશોત્સવના સમાપનને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. બંને ધર્મના તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઊજવાય તે માટે બહારગામથી પણ પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે. તદુપરાંત સીસીટીવી સહિતના ટેકનિકલ સાધનોથી પણ પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે.

શહેરમાં 7 મી સપ્ટેમ્બરથી શરૂ થયેલા ગણેશોત્સવને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. માથાભારે તત્ત્વોને  રાઉન્ડ અપ કરવાની સાથે અટકાયતી પગલા પણ ભરવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. બંને કોમના લોકો વચ્ચે મૈત્રીપૂર્ણ વાતાવરણ જળવાઇ  રહે તે હેતુથી દરેક પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠકો યોજવામાં આવી રહી છે.

ગણેશોત્સવમાં પોલીસ તંત્રમાં કુલ 1,723 મૂર્તિઓની સ્થાપનાનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. તે ઉપરાંત ઘરની ગલીઓ, મહોલ્લા તથા ઘરમાં પણ શ્રીજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. તા. 10મી થી અત્યારસુધીમાં નાની અને મોટી મૂર્તિઓ મળી કુલ ૨૫૯ મૂર્તિઓનું અલગ - અલગ જળાશયોમાં વિસર્જન કરવામાં આવ્યું  છે. જ્યારે પરમિશન વગર ( રજિસ્ટ્રેશન ના કરાવ્યું હોય તેવા ) ઘરમાં અને ગલીઓમાં સ્થાપિત  કરવામાં આવેલા 17,798 મૂર્તિઓનું વિસર્જન થયું છે. જે પૈકી (1) ખોડિયાર  નગર (2) લેપ્રેસી ગ્રાઉન્ડ, સરદાર એસ્ટેટ) (3) હરણી - સમા કૃત્રિમ તળાવ (4) સોમા તળાવ (5) માંજલપુર સ્મશાન પાસે પ્લોટમાં (6) ગોત્રી પ્રિયા સિનેમા નજીક (7) નવલખી કૃત્રિમ તળાવ તથા (8) ગોરવા દશામા તળાવ મુખ્ય વિસર્જન સ્થળો હતા. આ ઉપરાંત અન્ય નાના - મોટા તળાવોમાં પણ મૂર્તિઓનું વિસર્જન થયું હતું.

મુખ્ય વિસર્જનના આગલા દિવસે ઇદે - મિલાદનો તહેવાર છે. બંને તહેવારો આગળ પાછળ હોઇ કોમી એકતાનું વાતાવરણ જળવાઇ રહે તે માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા શરૂઆતથી જ સૂચના આપી સ્થાનિક પોલીસ સ્ટેશન દીઠ શાંતિ સમિતિની બેઠકો શરૂ કરવામાં આવી હતી. બંને કોમના આગેવાનોની સાથે મીટિંગ કરી બંને તહેવારો શાંતિપૂર્ણરીતે ઉજવાય તે માટે જણાવવામાં આવ્યું હતું.

એસ.આર.પી. અને રેપિડ એક્શન ફોર્સ તહેનાત  

ઇદે - મિલાદ અને ગણેશોત્સવના બંદોબસ્તનું સીધું મોનિટરિંગ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવશે. શહેરમાં હાજર સંયુક્ત  પોલીસ કમિશનર , અધિક પોલીસ કમિશનર, પાંચ નાયબ પોલીસ કમિશનર, 12 મદદનીશ પોલીસ કમિશનર, 57 પી.આઇ., 165 પી.એસ.આઇ., તથા 3,200 પોલીસ  જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે.બહારગામથી 4 એસ.પી., 10 ડીવાય.એસ.પી., 35 પી.આઇ., 60 પી.એસ.આઇ., 600 પોલીસ જવાનો, તથા હોમગાર્ડના 2,250 જવાનોને બંદોબસ્ત માટે બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત એસ.આર.પી.ની 6 અને રેપિડ એક્શન ફોર્સની એક કંપની પણ બોલાવવામાં આવી છે.

ઇદના દિવસે પણ વિસર્જન હોવાથી પોલીસ ખડેપગે

સોમવારે ઇદના દિવસે પણ કેટલાક સ્થળે શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. તેને અનુલક્ષીને બંને કોમના આગેવાનો સાથે મીટિંગ યોજવામાં આવી હતી. ઇદના જૂલુસ સવારે 8 વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધી અલગ - અલગ વિસ્તારોમાંથી નીકળશે. આ વર્ષે કુલ 49 જૂલુસ નીકળનાર છે. ત્યારબાદ શ્રીજીની મૂર્તિઓની વિસર્જન યાત્રા નીકળે તે માટે પણ મિટિંગ કરવામાં આવી છે.



Google NewsGoogle News