વડોદરા: કોઈપણ ભડકાવ મેસેજ કે અફવા વાયરલ નહીં કરવા પોલીસ વિભાગનું આહવાન
Image Source: Freepik
વડોદરા, તા. 25 સપ્ટેમ્બર 2023, સોમવાર
વડોદરા શહેરમાં ગણેશ મહોત્સવ ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ગણેશજીના આગમન સાથે હવે વિસર્જન પણ શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ થાય તે માટે પોલીસે પૂર્વ તૈયારીઓ કરી લીધી છે. સોમવારે પોલીસ કમિશનરે ગાંધીનગર ગૃહ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી પોલીસના એક્શન પ્લાન વિશે માહિતી આપી હતી. આ પરિષદમાં જેસીપી ડીસીપી એસીપી અને પીઆઇ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ગણેશ મંડળોને શાંતિપૂર્ણ રીતે વિસર્જન યાત્રા કાઢવા તથા કરવા પોલીસ કમિશનરે અપીલ કરી છે.
સંસ્કારી નગરી વડોદરામાં ગણેશ ઉત્સવ ભારે ધામધૂમથી મનાવવામાં આવતો હોય છે. દસ દિવસ સુધી શ્રીજીની પૂજા અર્ચના કર્યા બાદ ચૌદસના દિવસે શ્રીજીને ભાવભીની વિદાય આપવા માટે વિવિધ ગણેશ મંડળો દ્વારા વિસર્જન યાત્રા કાઢવામાં આવતી હોય છે. 28 સપ્ટેમ્બર ના રોજ ગણેશ વિસર્જન હોય અને આ વિસર્જન યાત્રાઓમાં કોઈ અનિચ્છનીય બનાવ કે છમકલું ન થાય તેના માટે પોલીસ તંત્રએ એક્શન પ્લાન બનાવી લીધો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહ લોત દ્વારા સોમવારે ગાંધીનગર ગૃહ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે શહેરમા ગણેશ બાદ ઈદ એ મિલાદ નો તહેવાર આવે છે. ત્યારે કોઈપણ લોકોના મોબાઈલ પર કોઈ પણ જાતની અફવા કે મેસેજ આવે તો તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવા નહીં. કારણ કે વિસર્જન દરમિયાન સાયબર કાયમ સહિત ની એજન્સીઓ સતત આના પર નજર રાખી રહી છે. જો કાયદો અને વ્યવસ્થા બગડે એવો મેસેજ કે અફવા કોઈપણ વ્યક્તિ મેસેજ વાયરલ કર્યો હોવાની માહિતી મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવો કોઈ મેસેજ આવે તો 100 નંબર પર જાણ કરવા પણ અપીલ કરી છે. વિસર્જન ટાણે પોલીસ બંદોબસ્ત માટે વડોદરા શહેર જિલ્લા બહારથી પણ અનુભવી અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે. વિસર્જન એ પોલીસ માટે ઘણો મોટો પડકાર હોય છે જેથી શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સંપન્ન થાય તેવી પણ મંડળોના આગેવાનોને અપીલ કરાય છે. શહેરના વિવિધ વિસ્તારમાંથી શ્રીજીની વિસર્જન યાત્રામાં યુવતીઓને મહિલાઓ મોટી સંખ્યામાં આવતી હોવાથી આ મહિલાઓ સાથે કોઈ છેડતી નો બનાવ ન બને તે માટે 44 શી ટીમની બનાવવામાં આવી છે. તમામ કર્મચારીઓ સાદા દેશમાં ફરજ બજાવશે. ગાંધીનગર ગૃહ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જેસીપી મનોજ નિનામા, ડીસીપી, એસીપી અને પીઆઇ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
બોક્સ-6200 પોલીસ જવાન ગણેશ વિસર્જન ટાણે ખડે પગે ફરજ બજાવશે
અનંત ચૌદસના દિવસે ગણપતિની વિસર્જન યાત્રા નીકળવાની છે ત્યારે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેમાં 10 ડીસીપી 25 એસીપી 85 168 પીએસઆઇ 2700 હોમગાર્ડ 600 ટીઆરબી જવાન મળીને કુલ 6200 પોલીસ જવાનો ખડે પગે ફરજ બજાવશે. સાથે રેપિડ એક્શન ની ટીમ સીઆરપીએફ એસઆરપી આરપીએફ સહિતની ટીમોની પણ મદદ લેવામાં આવશે. 600 બોડીવેલ કેમેરા સાથે પોલીસ તેનાત રહેશે. પોલીસના 50 વિડીયોગ્રાફર ડીજે સાથે રહેશે.