હરણી બોટકાંડના વધુ પાંચ આરોપી થયા જેલમુક્ત, હવે માત્ર એક જેલમાં, મૃતકના પરિવારજનો લાચાર

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
Harni boat tragedy


Harni boat tragedy : આ વર્ષની શરૂઆતમાં 18 જાન્યુઆરી 2024ના રોજ વડોદરા શહેરના હરણી તળાવમાં બોટ પલટી જતા મોટી દુર્ઘટના બની હતી. જેમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોના ડૂબી જવાથી મૃત્યુ થયા હતા. આ તમામ પોતાની શાળાથી પિકનિક પર ગયા હતા. તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. હરણી બોટકાંડમાં જવાબદાર મોટા અધિકારીઓ સામે કાર્યવાહી અને સજાની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટે વડોદરા હરણી બોટકાંડમાં 14 લોકોનો ભોગ લેનારા પાંચ આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. આમ, એક આરોપી સિવાય તમામ જામીન પર છૂટી ગયા છે. આમ, મૃતક 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના પરિવારજનો લાચાર બન્યા છે.

હાઈકોર્ટે કોને કોને આપ્યા જામીન?

વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટના કેસની સુનાવણી કરતા સોમવારે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એમ.આર. મેંગડેની સિંગલ બેન્ચે પાંચ આરોપીઓને જામીન આપ્યા છે. જેમાં હાઈકોર્ટે ચુકાદો આપતા પરેશ શાહ વત્સલ શાહ (કોટીયા પ્રોજેક્ટના સંચાલક), શાંતિલાલ સોલંકી (બોટમેન), નિલેશ જૈન (બોટિંગનો પેટા કોન્ટ્રાક્ટ ધરાવનાર ડોલ્ફિન કંપનીના માલિક) અને નયન ગોહિલ (બોટમેન)ની જામીન અરજી મંજૂર કરી છે. જેને લઈને બે મુખ્ય આરોપી સહિત પાંચ આરોપી આઠ મહિના બાદ જેલમાંથી મુક્ત થશે. જણાવી દઈએ કે, આ કેસમાં અગાઉ ચાર મહિલા આરોપીઓને જામીન અપાયા હતા. જોકે એક હજુ જેલમાં બંધ છે.

શું બની હતી દુર્ઘટના?

18 જાન્યુઆરી 2024ના રોજ વડોદરા શહેરમાં આવેલા હરણી તળાવમાં પિકનિક પર આવેલા ન્યૂ સનરાઇઝ શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકોની એક બોટ પલટી ગઈ હતી. જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના ડૂબાવાથી મૃત્યુ થયા હતા. આ દુર્ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા હતા.  હાઈકોર્ટ દ્વારા આ દુર્ઘટના કેસમાં સુઓમોટો દાખલ કરાઈ હતી. આ કેસના આરોપીઓ સામે કલમ 304, 308, 337, 114 સહિતની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોટિયા પ્રોજેક્ટ નામથી એક ખાનગી પેઢીને તળાવ પ્રોજેક્ટના વિકાસનું કામ સોંપવામાં આવ્યું હતું. જેમાં આરોપી પરેશ અને વત્સલ શાહ આ પ્રોજેક્ટમાં પાર્ટનર છે. 'ડોલ્ફિન એન્ટર ટેનમેન્ટ'ના માલિક નિલેશ કોટિયા દ્વારા આ પ્રોજેક્ટ માટે સબ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા અને બોટમેન નયન ગોહિલ હતો. આ કેસ અંગેના આરોપીઓ સામે કલમ 304, 308, 337, 114 સહિતની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાંમાં આવ્યો હતો.


Google NewsGoogle News