પશુ માટે તારની વાડમાં છોડેલો કરંટ લાગતા સાળા અને બનેવીનું કરૃણ મોત
જમવાનું બનાવીને રાખ અમે ખેતરમાં પાણી જોઇને આવીએ છે તેમ કહી સાળો અને બનેવી ધૂળેટીની રાત્રે નીકળ્યા બાદ લાપત્તા હતાં
વડોદરા, તા.16 કરજણ તાલુકાના કોઠાવ ગામની સીમમાં રાત્રે ખેતરમાં પાણી જોવા માટે ગયા બાદ પરત નહી ફરેલા સાળા અને બનેવીની લાશ ત્રીજા દિવસે મળતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. ખેતરમાં લગાવેલી તારની વાડમાં ઢોર માટે છોડેલો વીજ કરંટ સાળા અને બનેવીને લાગતા બંનેના મોત નિપજ્યાં હોવાનું બહાર આવ્યું છે.
આ અંગેની વિગત એવી છે કે ખેડા જિલ્લાના મહુધા તાલુકાના અલીના ગામના મૂળ રહીશ પરંતુ હાલ કોઠાવ ગામમાં રહેતી નાથીબેન વસાવાએ વિજય પટેલ (ઉ.વ.૩૫) સાથે લગ્ન કર્યા હતાં. ધૂળેટીના દિવસે રાત્રે વિજય પટેલ તેમજ વેમાર ગામે રહેતો સાળો ચન્દ્રકાંત સુરેશભાઇ વસાવા (ઉ.વ.૨૪) બંને ઘેરથી ખેતરે ઘઉંમાં પાણી ચાલુ છે તે જોવા જઇએ છે અને તમે જમવાનું બનાવીને રાખો તેમ નાથીને કહીને નીકળ્યા હતાં.
વિજય અને ચન્દ્રકાંત મોડી રાત્રિ સુધી પરત નહી ફરતાં નાથીને ચિંતા થઇ હતી અને તેણે ફોન પર સંબંધીઓ તેમજ મિત્રોને પૂછપરછ કર્યા બાદ બીજા દિવસે તપાસ હાથ ધરી હતી પરંતુ બંનેનો કોઇ પત્તો લાગ્યો ન હતો જેથી ગઇકાલે કરજણ પોલીસ સ્ટેશનમાં નાથીએ પતિ અને ફોઇનો પુત્ર ચન્દ્રકાંત ગુમ થયો હોવાની નોંધ કરાવી હતી. દરમિયાન પોલીસે પણ બંનેની શોધખોળ હાથ ધરી હતી.
બંને ગુમ થયાના ૪૫ કલાક બાદ જાણ થઇ હતી કે એક ખેતરના છેડે બે લાશ સળગી ગયેલી હાલતમાં પડી છે જેથી કરજણ પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ કરતાં ગુમ થયેલ વિજય તેમજ ચન્દ્રકાંતની લાશો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખેતરના છેડે માલિકે ખેતરમાં પશુ ના પ્રવેશે તે માટે તારની વાડ કરી હતી અને આ તારમાં વીજ કરંટ છોડયો હતો જે કરંટ લાગવાથી બંનેના મોત નિપજ્યા હતાં. દરમિયાન પોલીસે ખેતરના છેડે તારમાં વીજ કરંટ છોડનાર માલિક સામે ગુનો દાખલ કરવાની રાત્રે તજવીજ હાથ ધરી છે.