સરકારના બે મંત્રીઓ આવ્યા, પૂરના પાણીમાં પગ મૂક્યા વગર ‘ફ્‌લડ ટુરિઝમ’ કરીને રવાના

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
jagdish vishwakarma

Flood in Vadodara : વડોદરાને વિશ્વામિત્રીના પાણીએ ધમરોળવામાં કશું બાકી રાખ્યું નથી ત્યારે બુધવારે સરાકરના બે મંત્રીઓ ૠષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા મદદના નામે વડોદરામાં આવીને ફ્‌લડ ટુરિઝમ કરીને રવાના થઈ ગયા હોવાની લાગણી મોટાભાગના લોકોએ વ્યક્ત કરી હતી.

આ બંને મંત્રીઓએ વડોદરાના પૂરના પાણીમાં પગ મૂકવાનુ પણ મુનાસિબ સમજ્યું નહોતું. તેમના માટે સૌથી વધારે ઉંચાઈ ધરાવતા ડમ્પરની વ્યવસ્થા કરવામાં આવી હતી. એ પછી આ મંત્રીઓ જાણે સિંહાસન પર બીરાજીને શોભાયાત્રમાં નીકળ્યાં હોય તે રીતે વડોદરામાં પૂરની સ્થિતિનો તાગ મેળવવા માટે નીકળ્યાં હતા. સાથે તેમના રસાલામાં દરબારીઓની જેમ વડોદરાના અધિકારીઓ અને નેતાઓ જોડાયા હતા. આટલા પૂર વચ્ચે પણ તંત્ર પ્રોટોકોલ ભૂલ્યું નહોતું અને આગળ એક ગાડી સાયરન વગાડતી નીકળી હતી.

આ પણ વાંચો : વડોદરામાં પૂરમાં ફસાયેલા હજારો પરિવારોના દૂધ-પાણી માટે વલખાં, બે દિવસથી મદદ પહોંચી નથી, મોબાઈલ પણ બંધ થયા

મંત્રીઓના ફોટા પડે અને વિડિયોગ્રાફી થાય તેનું બરોબર ઘ્યાન રાખવામાં આવ્યું હતું. જ્યાં સુધી તેઓ વડોદરામાં હતા ત્યાં સુધી આખુ તંત્ર અને તમામ અધિકારીઓ તમામ પ્રકારની બચાવ કામગીરી છોડીને તેમની તહેનાતમાં રોકાઈ રહ્યાં હતા.એ પછી તેમણે રાબેતા મુજબ એક પત્રકાર પરિષદ યોજીને નિવેદન આપ્યા હતા.


જેમાં વડોદરા માટે એક લાખ ફૂડ પેકેટ તૈયાર કરાઈ રહ્યાં છે તેનાથી વિશેષ બીજી કોઈ જાણકારી લોકોને મળે તેમ નહોતું.તેમની આ મુલાકાતને લઈને વડોદરાના લોકોએ સોશિયલ મીડિયા પર તેમની ઝાટકણી કાઢતી કોમેન્ટસનો જે પ્રકારે મારો ચલાવ્યો હતો તે વાંચીને લાગતું હતું કે, ગુજરાત સરકારે ખોબલેને ખોબલે મત આપતા વડોદરાને ફરી સહાયની મોટી મોટી વાતો કરીને અવગણ્યું જ છે.

આ પણ વાંચો : વડોદરા: હોસ્પિટલમાં પીવાનું પાણી અને દૂધ પહોંચાડવા માટે પણ તરાપાનો સહારો લેવો પડ્યો

વિશ્વામિત્રી નદીમાં પાણીનો પ્રવાહ તેની ભયજનક સપાટી કરતાં 12 ફૂટ વધી ગયો હોવાથી બે દિવસથી વડોદરા શહેરનો અડધો ભાગ ડૂબી ગયો છે. શહેરના મોટા ભાગના પૂરગ્રસ્ત વિસ્તારમાં 10થી 12 ફૂટ પાણી ભરાયેલા છે. રાજ્યના મંત્રી ૠષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા સ્થિતિની સમીક્ષા કરવા વડોદરાની મુલાકાતે આવ્યા હતા. બંધ બારણે અધિકારીઓ સાથે બેઠક થઈ પણ શહેરની જનતાને મળવું મુશ્કેલ હતું.

ડમ્પર ઉપર મંત્રીએ કેટલાક વિસ્તારોમાં ક્કર માર્યા હતા. આ ડમ્પર એક અન્ડરપાસ નીચેથી પસાર થયું ત્યારે કેબિન ઉપર બેઠેલા મંત્રીએ પોતાને બચાવવા માટે તેના ઉપર ‘શબાસન’ની મુદ્રા ધારણ કરવા ફરજ પડી હતી. મંત્રીએ તાકીદે કેવી રીતે સહાય મળે, શહેરીજનોને રાહત આપી શકાય એના બદલે લાંબા ગાળે પૂરપ્રકોપ નિવારવા શું વિચારી શકાય એવી વાતોનું ‘જ્ઞાન’ પણ આપ્યું હતું.


Google NewsGoogle News