મહીસાગરમાં ગરમીથી અકળાઈને પાનમ કેનાલમાં હાથ-પગ ધોવા ગયેલા ત્રણ યુવકો ડૂબ્યા, 2ના મૃતદેહ મળી આવ્યા
Mahisagar News : ગુજરાતના મહીસાગર જિલ્લાના લુણાવાડામાં પાનમ કેનાલમાં પંચમહાલના ત્રણ યુવકો હાથ-પગ ધોવા માટે ઉતર્યા હતા. જેમાં એક યુવકનો પગ લપસતા તેને બચાવવા જતા ત્રણ યુવકો ડૂબ્યા હતા. જેમાં ડૂબી જવાથી બે યુવકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યુ્ં છે. જ્યારે અન્ય એક યુવકની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પાનમ કેનાલમાં ડૂબી જવાથી બેના મોત, એક ગંભીર
મળતી માહિતી મુજબ, પંચમહાલના શહેરા તાલુકાના લાંબી ગામના અજય પટેલીયા (ઉં.વ.18), હિતેશ પટેલીયા (ઉં.વ.17) અને દિલીપ પટેલીયા (ઉં.વ.22) મહીસાગર જિલ્લામાં લગ્ન પ્રસંગમાં ગયા હતા, ત્યારે પરત ફરતી વખતે લુણાવાડા તાલુકાના ભાટપુરા ગામ નજીકથી પસાર થતી પાનમ કેનાલમાં હાથ-પગ ધોવા માટે ઉતર્યા હતા. આ વખતે એક મિત્રનો પગ લપસતા વારા ફરતી ત્રણેય ડૂબ્યા હતા.
આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં વરસાદી તબાહી વચ્ચે 50 ગુજરાતી પ્રવાસીઓ ફસાયા, તમામ સુરક્ષિત હોવાનો દાવો
કેનાલના ઊંડા પાણીમાં ત્રણેય મિત્રો ડૂબ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે લુણાવાડા ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચીને ભારે જહેમત બાદ ત્રણેય યુવકોને બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં ડૂબી જવાથી અજય અને હિતેશનું મોત નીપજ્યું હતું. જ્યારે દિલીપની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે લુણાવાડા પોલીસે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.