જેતપુરમાં હત્યા તેમજ દૂષ્કર્મના બે જુદા જુદા કેસમાં બે આરોપીને આજીવન કેદ
- એક આરોપીએ સગીરા સાથે દૂષ્કર્મ આચર્યું હતું,બીજાએ હત્યા કરી હતી
- દૂષ્કર્મ કેસમાં ટૂંકા સમયમાં જ ચાર્જશીટ દાખલ કરાતા કેસનો ઝડપી નીકાલ થયો
વિગત અનુસાર ગઇ તા.૧૩/૦૫/૨૦૨૧ ના રોજ સગીરાનું આરોપી કલ્પેશ ઉર્ફે જીગુ અપહરણ કરી ગયેલ. જેતપુર સિટી પોલીસે એ અંગે આઇ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬ મુજબનો ગુન્હો દાખલ કરેલ. પીઆઇ પી.ડી.દરજીની તપાસમાં આરોપી અને ભોગબનનાર મળી આવતા સગીરા સાથે આરોપીએ શરીરે સબંધ બાંધી દુષ્કર્મ કર્યું હોવાનું ખુલતા આઇ.પી.સી. કલમ ૩૭૬(એન) તથા પોકસોની કલમો ઉમેરાઈ હતી. ટૂંકા ટાઈમમાં જ ચાર્જશીટ દાખલ કરાઈ હતી.
કોર્ટમાં સરકારી વકીલ કેતન પંડયાની દલીલો આધારે આરોપીને આજીવન કારાવાસ તથા રૃ.૧૦,૦૦૦ ના દંડની કરવામાં આવેલ છે. બીજા કેસમાં તા.૨૦/૧૦/૨૦૨૨ના રોજ ફરીયાદી રાજનભાઈ ઉર્ફે રાજુભાઇ ગીરઘરલાલ પડીયા (રહે.જેતપુર, ગૌવર્ધન નગર-૨, જુનો પાંચપીપળા રોડ, તા.જેતપુર)ના કારખાનામાં મજુરી કામ કરતા જયશંકર ઉર્ફે સુનીલકુમાર ઉર્ફે ગડુ ગોરખનાથ વર્મા (રહે.રેવતીપુર, તા.જમાનીધા, જી.ગાજીપુર ઉતર પ્રદેશ) સાથે આરોપી જુગલકિશોર ઉર્ફે જગો લક્ષ્મીપ્રસાદ વર્મા (રહે. મુળ - મકરી છીબાવ તા. અભરા જી.બાંદારા રાજ્ય ઉત્તરપ્રદેશ)એ સામાન્ય બાબતે ઝગડો કરી લાકડાના ધોકાથી માર મારી મોત નિપજાવી નાસી ગયેલ હતો.જેતપુર સિટી પોલીસે ગુનો દાખલ કરી આઈ.પી.સી. કલમ ૩૦૨ તથા જી.પી. એકટ કલમ - ૧૩૫ મુજબનો ગુન્હો નોંદયો હતો. પીઆઈ એ.એમ.હેરમાએ તપાસ સંભાળીને આરોપીને તાત્કાલીક ઝડપી લીધો હતો.
ટુંકા ગાળામાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ. કોર્ટે સરકારી વકીલ કેતન પંડયાની દલીલો આધારે આરોપી જુગલકિશોર ઉર્ફે જગાને તકસીરવાન ઠેરવી આજીવન કારાવાસ તથા રૃ.૫,૦૦૦ના દંડની સજા ફરમાવી હતી.