બેન્ક ઓફ બરોડાના ચકચારી લોન કાંડમાં તત્કાલીન બેંક મેનેજર રિમાન્ડ પર
- એસઆઇટીની ટીમે અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી
- 5 શખ્સના રિમાન્ડની અવધિ પૂર્ણ થતાં પાંચેય શખ્સને જેલ હવાલે કરાયા
આ ચકચારી કાંડની જાણવા મળતી વિગત મુજબ બેંક ઓફ બરોડાની ભાવનગર શહેરની મોખડાજી સર્કલ બ્રાંચમાં સરકારની આ કલ્યાણકારી યોજનાનો દુરઉપયોગ કરી નકલી ક્વોટેશન અને ઈન્વોઈસ બીલોની મદદથી સરકાર સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. એપ્રીલ-૨૦૨૩ દરમિયાન ભાવનગર શહેર અને જિલ્લાની બેંક ઓફ બરોડાની બ્રાંચનું ઓડિટ થયું હતું.અને ઓડિટ દરમિયાન સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો.અને રૂા.૧.૦૧ કરોડનું બેંક લોન કૌભાંડ આચરાતા આખરે સમગ્ર કૌભાંડ બહાર આવ્યુ હતું.આ સમગ્ર કાંડમાં એસઆઇટીની ટીમે તત્કાલીન બ્રાન્ચ મેનેજર શિવશંકર ઝા ,બેન્ક કર્મચારી પ્રદીપ મારું , એજન્ટ હિતેશ દલપતભાઈ ગલચર , એજન્ટ રમેશ મગનભાઈ જાવિયા એજન્ટ જેસિંગ અરજણભાઈ રાઠોડ અને લાભાર્થી વૈભવ દોશીની ધરપકડ કરવામાં આવી હતી.પ્રદીપ મારું ,હિતેશ દલપતભાઈ ગલચર ,રમેશ મગનભાઈ જાવિયા, એજન્ટ જેસંગ રાઠોડ અને વૈભવ દોશીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા .ઉપરોક્ત પાંચ શખ્સના રિમાન્ડની અવધિ પૂર્ણ થતાં જેલ હવાલે કરવામાં આવ્યા છે.તદુપરાંત તત્કાલીન બ્રાન્ચ મેનેજર શિવશંકર ઝાને હોસ્પિટલમાંથી ડિસચાર્જ મળતા એસઆઇટીની ટીમે શિવશંકર ઝાને સાત દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું એસઆઇટીનાં પીએસઆઈ વી.વી ધ્રાંગુએ જણાવ્યું હતું.