આણંદમાં લંપટ શિક્ષકની કાળી કરતૂતનો ભાંડો ફૂટ્યો, વિદ્યાર્થિનીને ગોંધી રાખી 13 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું
પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે
Anand News: રાજ્યમાં ગુરુની ગરિમા લજવતી વધુ એક ઘટના સામે આવી છે. આણંદનાં આંકલાવ તાલુકાની માધ્યમિક શાળાના 42 વર્ષીય પીટી શિક્ષકે 17 વર્ષીય સગીર વિદ્યાર્થિનીને રમત-ગમતમાં આગળ વધવાની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવીને 13 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું. જોકે, પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
પરિવારજનોએ કડક પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, આંકલાવની માધ્યમિક શાળાના 42 વર્ષીય પીટી શિક્ષક જયેન્દ્રસિંહ રાજે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું. આ નરાધમ શિક્ષકે વિદ્યાર્થીનીને રમત-ગમતમાં આગળ લઈ જવા. ઉપરાંત તેની સાથે લગ્ન કરવાની પણ લાલચ આપી ભગાડી જઈને 13 દિવસ સુધી દુષ્કર્મ આચર્યુ હતું. આ દરમિયાન સગીરાને ભગાડીને ડાકોર પાસે પીલોદ ગામે તેના મિત્રને ત્યાં લઈ જઈ ગોંધી રાખી હતી. 13 દિવસ બાદ સગીરા ઘેર આવતા પરિવારજનોએ કડક પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો હતો. આ સમગ્ર મામલે આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી જયેન્દ્રસિંહ રાજની ધરપકડ કરી છે.
આ મામલે પોલીસે જણાવ્યુ હતુ કે,'પહેલી માર્ચે વિદાય સમારંભ પત્યા પછી પોતાના ગામે આવેલા ઘરે લઈ જઈ તેના ઘરે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આ મામલે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે, આ પહેલા પણ આરોપીએ અડાસ ગામમાં આ પ્રકારનું કૃત્ય આચર્યું હતું.'