ગેસ લીકેજ વચ્ચે સ્વીચ ચાલુ કરતા જ આગ ભભૂકીઃ પરિવારના 4 સભ્ય દાઝ્યા
જૂનાગઢના ગિરનાર દરવાજા રોડ પર : ધડાકા સાથે આગ લાગતા આસપાસના લોકોને તો ભૂકંપ આવ્યાનું માની ઘર બહાર નીકળી ગયા હતા.
જૂનાગઢ, : જૂનાગઢના ગિરનાર રોડ પર આવેલા ગણેશનગરમાં ગતરાત્રીના ગેસ લીકેજ થયો હતો. જેમાં સ્વીચ ચાલુ કરતા જ ધડાકા સાથે આગ લાગી હતી. જેમાં પરિવારના ચાર સભ્ય દાઝી જતા તેઓને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. આ બનાવથી આસપાસના લોકોને તો ભૂકંપ આવ્યાનું માની ઘર બહાર નીકળી ગયા હતા. રાત્રીના સમયે બનેલી આ ઘટનાથી આસપાસમાં દોડધામ મચી ગઇ હતી.ધડાકો થતા આસપાસના લોકો ભૂકંપ આવ્યાનું માની બહાર નીકળી ગયા, દંપતી, પુત્ર અને પિતા ગંભીર રીતે દાઝી જતાં જૂનાગઢ બાદ રાજકોટ ખસેડાયા
આ અંગેની વધુ વિગત મુજબ શહેરના ગણેશનગર વિસ્તારમાં રહેતા કાનજીભાઈ માવજીભાઈભાઈ કટારીયા (ઉ.વ. 55), તેમના પુત્ર વિજયભાઈ કાનજીભાઈ કટારીયા(ઉ.વ. 35), મનીષાબેન વિજયભાઈ કટારીયા(ઉ.વ. 32) અને દત વિજયભાઈ કટારીયા (ઉ.વ. 10) ગતરાત્રીના ઘરે હતા. ત્યારે ગેસ સિલિન્ડરનું રેગ્યુલેટર ચાલુ રહી જતા તેમાંથી ગેસ લીકેજ થયો હતો અને હવામાં પ્રસરી ગયો હતો. આ સમયે ઇલેક્ટ્રિક સ્વીચ ચાલુ કરતા જ ધડાકા સાથે આગ લાગી હતી. જેમાં પરિવારના ચારેય સભ્ય ગંભીર રીતે દાઝી ગયા હતા. આ અંગે જાણ થતાં 108માં તમામને સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયા હતા. ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગેસ સિલિન્ડર જે તે સ્થિતીમાં હતું. પરંતુ રાત્રીના સમયે રેગ્યુલેટર ચાલુ રહી જતા ગેસ લીકેજ થઈ ઘરમાં પ્રસરી ગયો હતો અને પરિવારના કોઈ સભ્યએ સ્વીચ ચાલુ કરતા જ ધડાકા સાથે આગ લાગી હતી.