સુરતમાં લાયબ્રેરી-રીડીંગ રૃમે એક વર્ષમાં 19.87 લાખ લોકોની વાંચન ભૂખ સંતોષી

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
સુરતમાં લાયબ્રેરી-રીડીંગ રૃમે એક વર્ષમાં 19.87 લાખ લોકોની વાંચન ભૂખ સંતોષી 1 - image


મ્યુનિ.ના રીડીંગ રૃમ ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૃપ ઇન્ટરનેટના જમાનમાં પણ સુરતીઓનો પુસ્તક પ્રેમ  ઓછો થયો નથી

                 સુરત,

ઈન્ટરનેટનો જમાનો આવ્યો હોવાથી પુસ્તકો અને વિવિધ માહિતી આંગળીના ટેરવે આવી ગઈ છે તેમ છતાં સુરત મ્યુનિ.એ બનાવેલી લાયબ્રેરી અને રીડીંગ રૃમ સુરતીઓની પહેલી પસંદ બની રહ્યા છે. મ્યુનિ. વિસ્તારની પાંચ લાયબ્રેરી અને  121 રીડીંગ રૃમમાં એક વર્ષમાં 19.87 લાખ લોકોએ પોતાની વાંચન ભૂખ  સંતોષી છે. રીડીંગ રૃમ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે પણ આશીર્વાદરૃપ બની રહ્યા છે.

સુરત મ્યુનિ.એ શહેરમાં લોકોની વાંચનની ભૂખ સંતોષવા માટે વર્ષ 1991માં ઘોડદોડ રોડ પર લાયબ્રેરી બનાવી હતી. આ લાયબ્રેરીમાં ત્રણ લાખ જેટલા પુસ્તકો છે. આ ઉપરાંત મ્યુનિ.એ અડાજણ, પાંડેસરા, વરાછા અને ગોડાદરામાં પણ લાયબ્રેરી શરૃ કરી છે. લોકોની ડિમાન્ડના કારણે શરૃ કરેલી લાયબ્રેરીમાં દિવસેને દિવસે લોકોની સંખ્યા વધી રહી છે. મ્યુનિ. વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે તેવા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી વખતે વાંચવા માટે અનેક મુશ્કલી પડે છે. આવા વિદ્યાર્થીઓ ઉપરાંત વડીલો માટે મ્યુનિ. દ્વારા શહેરમાં જુદા-જુદા વિસ્તારમાં 121 રીડીંગ રૃમ શરૃ કરવામાં આવ્યા છે. આ રીડીંગ રૃમમાં હજારો વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે. હાલ ઈન્ટરનેટમાં આંગળીના ટેરવે તમામ માહિતી હોવા છતાં સુરતીઓનો પુસ્તક પ્રેમ ઓછો થયો નથી. મ્યુનિ.ની લાયબ્રેરીનો વધુમાં વધુ લોકો ઉપયોગ કરીને પુસ્તકોનો અભ્યાસ કરી પોતાની વાંચન ભૂખ સંતોષી રહ્યા છે.

અઠવા વિસ્તારમાં આવેલી કવિ નર્મદ મધ્યસ્થ લાયબ્રેરીમાં છેલ્લા એક વર્ષમાં બે લાખ કરતાં વધુ મુલાકાતીઓ આવ્યા હતા. જ્યારે અડાજણની વિષ્ણુપ્રસાદ ત્રિવેદી લાયબ્રેરીમાં એક વર્ષમાં 61 હજાર કરતાં વધુ, પાંડેસરાની અટલ બિહારી વાજયેપી લાયબ્રેરીમાં એક વર્ષમાં 79 હજાર, વરાછાની કેશુભાઈ પટેલ લાયબ્રેરીમાં 14 હજાર તો ગોડાદરાની છત્રપતિ શિવાજી મહારાજ લાયબ્રેરીમાં છેલ્લા એક  વર્ષમાં 74 હજાર મુલાકાતીઓ આવ્યા હતા. આ સાથે 121 રીડીંગ રૃમમાં લાખો લોકોએ વાંચન માટે આવ્યા હતા. આ બધુ મળીને એક વર્ષમાં લાયબ્રેરી અને રીડીંગ રૃમમાં ૧૯.૮૭ લાખ લોકોએ પોતાની વાંચન ભૂખ સંતોષી છે.

 બિન ગુજરાતી વાંચકોનું પણ ધ્યાન રાખવામાં આવે છે

 મેટ્રો સીટી બની રહેલા સુરતમાં  ગુજરાતીઓ સાથે બિન ગુજરાતીઓની સંખ્યા વધી રહી છે. તે જોતાં મ્યુનિ.એ લાયબ્રેરીમાં બિન ગુજરાતીઓનું પણ ખાસ ધ્યાન રાખીને ગુજરાતી સાથે અન્ય ભાષામાં પણ પુસ્તકો અને અખબાર મળે તે માટે આયોજનકર્યું છે.  નર્મદ લાયબ્રેરી ઉપરાંત અન્ય લાયબ્રેરીમાં હિન્દી પુસ્તકોની સંખ્યા પણ નોંધપાત્ર છે. તેની સાથે સાથે હિન્દી ભાષાના વર્તમાન પત્રો અને મેગેઝીન પણ મુકવામાં આવ્યા છે. તેના કારણે ગુજરાતી સાથે બિન ગુજરાતી વાચકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.


Google NewsGoogle News