પોલીસ અને પાલિકા માટે માથાનો દુખાવો બની ગયેલા ગુજસીટોકના આરોપીનું ગેરકાયદે બાંધકામ દૂર કરાયું
સુરત શહેરમાં નાનપુરા વિસ્તારમાં રહેતો ગુજસીટોકનો આરોપી લોકો પોલીસ અને પાલિકા માટે માથાનો દુખાવો બની ગયો હતો. પોલીસ કાર્યવાહીથી બચવા બે ઘર વચ્ચે ફે્બ્રિકેટનો નાનો બ્રિજ બનાવી દીધો હતો. આ અંગેની જાણ થયાં બાદ આજે સુરત પોલીસ અને પાલિકાએ સંયુક્ત ઓપરેશન કરીને બે ઘર વચ્ચે બનાવેલો આ ફેબ્રીકેટર નાનો બ્રિજ જેવો ભાગ દૂર કરી દીધો હતો. આ ઉપરાંત ચોક બજાર સાગર હોટલ નજીક કેટલાક તત્વોએ પતરાનો શેડ બનાવી દીધો હતો તે પણ દુર કરવામા આવ્યો છે.
સુરત પાલિકાના નાનપુરા કાદરશની નાળ વિસ્તારમાં ગુજસીકોટના આરોપી આરીફ શેખ ( મીંડી)નું ઘર આવ્યું છે. આ જગ્યાએ એક નાનકડી ગલીમાં બે ઘર વચ્ચે ઉપર લોખંડનો બ્રિજ બનાવી દેવામાં આવ્યો હતો. આજે પોલીસ અને પાલિકાએ સાથે મળીને ડિમોલિશનની કામગીરી કરી હતી અને આ લોખંડનો બ્રિજ જેવો ભાગ દૂર કરવામા આવ્યો છે આ અંગે એવી ચર્ચા થઈ રહી છે કે પોલીસ કાર્યવાહી કરવામા આવે ત્યારે આ બ્રિજનો ઉપયોગ કરવામા આવતો હતો. બે ઘરની વચ્ચે ગેરકાયદે બનાવેલો આ બ્રિજ પાલિકા અને પોલીસે સંયુક્ત કામગીરી કરીને દુર કરી દીધો હતો.
આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં ચોક બજારમાં સાગર હોટલ નજીક રોડ પર કેટલાક લોકોએ પતરાનો શેડ બનાવી દીધો હતો. આ ગેરકાયદે બનેલા શેડના કારણે ટ્રાફિકની સમસ્યા થતી હતી આ શેડ પણ પાલિકાએ દૂર કરી દીધો હતો.